Last Updated on by Sampurna Samachar
મોરબીના હળવદની જાણીતી સંસ્કાર વિદ્યાલયનો બનાવ
એકસાથે આશરે ૩૦ જેટલા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબીના હળવદમાં આવેલી ખાનગી શાળામાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. હળવદની જાણીતી સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા અંદાજે ૩૦ જેટલા માસૂમ વિદ્યાર્થીઓને શિક્ષક અને શાળાના આચાર્ય દ્વારા ર્નિદયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને વાલીઓમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.

ધોરણ ૯ના વર્ગખંડમાં અંગ્રેજી વિષયના શિક્ષણ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને સ્પેલિંગ પૂછવામાં આવ્યા હતા. સ્પેલિંગ ન આવડવા જેવી સામાન્ય બાબત પર ઉશ્કેરાઈ જઈને શિક્ષકે વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડ્યો હતો.
પીડિત બાળકોના વાલીઓએ કડક પગલાં લેવી કરી માંગ
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય મયુર સાહેબ દ્વારા પણ તેઓને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. શિક્ષક અને આચાર્યના ગુસ્સાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓની હાલત જોઈને વાલીઓ પણ ધ્રુજી ઉઠ્યા હતા.મારના કારણે માસૂમ વિદ્યાર્થીઓના શરીર પર પીઠના ભાગે અને હાથપગ પર ગંભીર પ્રકારના લાલચોળ ચાઠા પડી ગયા છે.
એકસાથે આશરે ૩૦ જેટલા વિદ્યાર્થીઓને આ રીતે ઢોર માર મારવામાં આવતા શાળાના શિક્ષકોની ક્રૂરતા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે શિક્ષણના ધામમાં બાળકોને સંસ્કાર આપવાના બદલે આ પ્રકારે પશુની જેમ માર મારવામાં આવે તે સહેજ પણ ચલાવી ન લેવાય.જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં ભરાવા જોઈએ.
સંસ્કાર વિદ્યાલયમાં બનેલી આ ઘટનાએ શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે. પીડિત બાળકોના વાલીઓ આ મામલે પોલીસ ફરિયાદ અને શિક્ષણ વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરી કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.