Last Updated on by Sampurna Samachar
હાલ ડેમની જળસપાટી ૧૦૮.૦૪ મીટરે પહોંચી
નદીકાંઠાના ૭ નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ભારે વરસાદ બાદ ઉપરવાસમાંથી અંદાજે એક લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમ મેનેજમેન્ટ દ્વારા કરજણ ડેમના ૭ દરવાજા ૩ મીટર સુધી ખોલી હાલ ૮૦,૭૨૧ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, કરજણ ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા ૧૧૬ મીટર છે, જ્યારે હાલ ડેમની જળસપાટી ૧૦૮.૦૪ મીટરે પહોંચી ગઈ છે. ડેમમાં સતત પાણીની આવકને કારણે રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા કરજણ નદીના પટમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
ડેમની આવક-જાવકનું ૨૪ કલાક મોનિટરિંગ
સલામતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના ૭ નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને નદીના પટમાં ન જવા, પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જરૂરી ન હોય ત્યાં સુધી નદી નજીક અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગે ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી આગામી દિવસોમાં ડેમમાં પાણીની આવક વધુ વધી શકે છે. તેને ધ્યાનમાં રાખીને કરજણ ડેમની આવક-જાવકનું ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂર પડ્યે ડેમમાંથી વધુ પાણી છોડવાનો ર્નિણય લેવામાં આવી શકે છે.