Last Updated on by Sampurna Samachar
બળદો અને હળને કુમકુમ તિલક કરી આરતી ઉતારી
નવા વર્ષમાં સારો પાક પાકે તેવી પ્રાર્થના કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢમાં ચોમાસાના પ્રારંભ થતા વાવણીના દ્ર્શ્યો દેખવા મળી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોનો નજારો બદલાઈ ગયો છે. લાંબા સમયથી આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ધરતીપુત્રોના ચહેરા પર મેઘરાજાએ ખુશી લાવી દીધી છે. કેશોદ પંથકમાં વાવણી લાયક પર્યાપ્ત વરસાદ નોંધાતા જ વહેલી સવારથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં નવા કૃષિ વર્ષના શુકનવંતા મંગલ શ્રીગણેશ કરી દીધા છે.

ભારતીય સંસ્કૃતિમાં ખેતીને ઈશ્વર સમાન પૂજનીય માનવામાં આવે છે, જેની ઝાંખી કેશોદના ગામડાઓમાં જોવા મળી હતી. ખેતરોમાં હળ ચલાવતા પહેલાં અને વાવેતર શરૂ કરતાં પહેલાં ઘરની નાની માસૂમ બાળાઓએ કલ્યાણકારી ભાવના સાથે પરંપરાગત વાવણી પૂજન કર્યું હતું.
ટ્રેક્ટરો અને હળનો ગણગણાટ ગુંજી ઉઠ્યો
ખેતીના સાચા સાથીદાર એવા બળદો અને હળને કુમકુમ તિલક કરીને, ચોખા ચોંટાડીને અને આરતી ઉતારીને નવા વર્ષમાં સારો પાક પાકે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ મંગળમય વાતાવરણ બાદ ખેડૂતોએ હર્ષોલ્લાસ સાથે કૃષિ કાર્યની શરૂઆત કરી હતી.
કેશોદ અને તેની આસપાસની જમીન મગફળીના પાક માટે ઉત્તમ ગણાય છે. જમીનમાં વાવણી લાયક ભેજ તૈયાર થઈ જતાં જ મોટા ભાગના ખેડૂતોએ પ્રથમ પસંદગી તરીકે મગફળીનું વાવેતર ઉત્સાહભેર શરૂ કરી દીધું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કપાસનું પણ વાવેતર થઈ રહ્યું છે.
વાવણી શરૂ થતાં જ ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક્ટરો અને હળનો ગણગણાટ ગુંજી ઉઠ્યો છે. બીજી તરફ, કેશોદ માર્કેટ યાર્ડ અને સ્થાનિક બજારોમાં બિયારણ, ખાતર અને કૃષિ દવાઓની ખરીદી માટે ખેડૂતોની ભારે ભીડ જાેવા મળી રહી છે, જેનાથી વેપારી આલમમાં પણ ઉત્સાહ છે.