Last Updated on by Sampurna Samachar
સાયલામાં NDPS કેસમાં મોટો ખૂલાસો
ષડયંત્ર રચનાર બે શખ્સોની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કરસનપરામાં NDPS કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. અંગત અદાવતમાં ગોપાલ સભાણીને ફસાવવા તેની વાડીમાં ૭ કિલો ગાંજો પ્લાન્ટ કરાયો હતો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ગોપાલ નિર્દોષ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ‘સી-સમરી‘ ભરી ગોપાલને જેલમુક્ત કરાવ્યો. ષડયંત્ર રચનાર અરજણ ભુવા અને દેવજી મીરની ધરપકડ કરાઈ છે. આ ઘટનામાં ૨ DySP સહિતના અધિકારીઓએ તપાસ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કરસનપરામાં નોંધાયેલા NDPS ગુનામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. અંગત રાગદ્વેષના કારણે નિર્દોષ વ્યક્તિને ફસાવવા માટે તેની વાડીમાં ગાંજાનો જથ્થો પ્લાન્ટ કરાયો હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે આ કેસમાં સી-સમરી ભરી નિર્દોષ વ્યક્તિને જેલમુક્ત કરાવ્યો છે. આ સાથે જ ષડયંત્ર રચનાર બે ઈસમોની પોલીસે ધરપકડ કરી લીધી છે.
નિર્દોષ આરોપીને પોલીસે પોતે જ નિર્દોષ સાબિત કર્યો
મળતી માહિતી અનુસાર, સાયલાના કરસનપરા વિસ્તારમાં રહેતા ગોપાલ સભાણી સાથે અંગત અદાવત રાખીને અરજણ ભુવા અને દેવજી મીર નામના બે વ્યક્તિઓએ ભેગા મળીને આ કાવતરું ઘડ્યું હતું. તેણે ગોપાલ સભાણીની વાડીમાં ૭ કિલો ગાંજાનો જથ્થો ચૂપચાપ મૂકી દીધો હતો અને ત્યારબાદ પોલીસને ખોટી બાતમી આપીને ગોપાલ સામે એનડીપીએસ હેઠળ કેસ કરાવ્યો હતો, જેના કારણે નિર્દોષ ગોપાલને જેલ હવાલે થવું પડ્યું હતું.
સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બે DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન બાતમીદારો જ મુખ્ય કાવતરાખોર હોવાનું અને ગોપાલ તદ્દન નિર્દોષ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે કોર્ટમાં ‘સી-સમરી‘ રજૂ કરીને ગોપાલ સભાણીને જેલમાંથી સન્માનપૂર્વક બહાર કઢાવ્યા હતા અને ખોટો કેસ કરનાર અરજણ ભરવાડ તથા દેવજી મીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત એવી કાયદાકીય ટ્રેન્ડમાર્ક ઘટના બની છે જેમાં એનડીપીએસ જેવા ગંભીર ગુનામાં જેલમાં ગયેલા નિર્દોષ આરોપીને પોલીસે પોતે જ નિર્દોષ સાબિત કરી સી-સમરી ભરી જેલમુક્ત કરાવ્યો હોય. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ સત્ય શોધી કાઢી નિર્દોષને ન્યાય અપાવનારી તપાસ ટીમના નિષ્ઠાપૂર્વકના કાર્યને બિરદાવીને ૫૧૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા છે.