Last Updated on by Sampurna Samachar
ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતુ થયુ હતુ
ખેતરની જાળીમાં ફસાઇ જવાથી મોત થયાની પ્રાથમિક માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક ખેતરમાંથી સિંહબાળનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. વાત કરીએ તો ૨-૩ મહિનાના સિંહબાળનો મૃતદેહ મળતાં વનવિભાગ દોડતું થયું હતુ. ખેતરમાં લગાવેલી જાળીમાં ફસાઈ જતાં ગળા પર દબાણ આવવાથી શ્વાસ રૂંધાઈ જવાથી સિંહબાળનું કરુણ મોત થયું હોવાની માહિતી મળી છે.

સુત્રોથી મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક એક ખેતરમાંથી ૨થી ૩ મહિનાના સિંહબાળનો મૃતદેહ મળી આવતાં વનવિભાગ દોડતું થયું છે. ખેતરમાં મૂકવામાં આવેલી જાળીમાં ફસાઈ જવાથી ગળા પર દબાણ આવતાં શ્વાસ રૂંધાઈ જવાના કારણે સિંહબાળનું કરૂણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સ્થળ તપાસના આધારે આગળની કાર્યવાહી શરૂ
મળતી માહિતી અનુસાર, વઢેરા ગામ નજીક આવેલા ખેડૂત ગોવિંદ સોલંકીના ખેતરમાં રક્ષણ માટે લગાવેલી જાળીમાં સિંહબાળ અકસ્માતે ફસાઈ ગયું હતું. જાળીમાં બચવા માટે મારમારેલા ફાંફા દરમિયાન તેના ગળાના ભાગે ગંભીર દબાણ આવી જતાં શ્વાસ રૂંધાવાથી સ્થળ પર જ તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સિંહબાળના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
આ અંગે ઇન્ચાર્જ એસીએફ રાજન જાદવે જણાવ્યું હતું કે, ‘સિંહબાળના મોતની માહિતી મળતાં જ ટીમે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને સ્થળ તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.‘