Last Updated on by Sampurna Samachar
બનાસકાંઠા-પાલનપુર, પાટણ અને વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ
પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ સાથે જોડાયેલા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકારે પોલીસ તંત્રના વહીવટી માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં હાલની બોર્ડર રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જ રચવાનો ર્નિણય કર્યો છે. નવી રેન્જનું મુખ્ય મથક પાલનપુર ખાતે રહેશે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા ઠરાવ મુજબ સરહદી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાનું વધુ અસરકારક સંચાલન, દેખરેખ અને પોલીસ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા આ ર્નિણય લેવામાં આવ્યો છે.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા રાજ્ય સરકારને રજૂ કરાયેલી દરખાસ્તના આધારે આ ર્નિણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી બોર્ડર રેન્જ હેઠળ પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, પાટણ અને બનાસકાંઠા જેવા ચાર જિલ્લાઓનો સમાવેશ થતો હતો. આ તમામ જિલ્લાઓ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ સાથે જોડાયેલા હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વ ધરાવે છે.
મોરબી જિલ્લાને બોર્ડર રેન્જમાં સામેલ કરવાનો ર્નિણય
સરકારી દસ્તાવેજો મુજબ હાલની બોર્ડર રેન્જનો ભૌગોલિક વિસ્તાર આશરે ૫૫૦ કિલોમીટર જેટલો વિશાળ છે. એટલા મોટા વિસ્તારમાં આવેલા પોલીસ મથકો પર અસરકારક દેખરેખ રાખવામાં મુશ્કેલી સર્જાતી હતી. ખાસ કરીને કચ્છ જિલ્લો વિશાળ વિસ્તાર ધરાવતો હોવાથી અને તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવ-થરાદ જિલ્લાની રચના કરવામાં આવતા વહીવટી ભારણમાં વધારો થયો હતો.
સરકારના ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બોર્ડર રેન્જની રચના વર્ષ ૧૯૯૫-૯૬ દરમિયાન કરવામાં આવી હતી. ત્યારબાદ કામગીરીના ભારણને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાને પોલીસ વિભાગની દૃષ્ટિએ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. હાલમાં બોર્ડર રેન્જ હેઠળ કુલ ૪૦૬.૮૭ કિલોમીટર આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને ૨૩૮ કિલોમીટર દરિયાઈ વિસ્તાર આવે છે.
આટલા વિશાળ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સતત નજર રાખવામાં પડતી મુશ્કેલીઓને કારણે નવી રેન્જની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. નવા માળખા મુજબ બનાસકાંઠા રેન્જ હેઠળ બનાસકાંઠા-પાલનપુર, પાટણ અને વાવ-થરાદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે. જ્યારે હાલની બોર્ડર રેન્જ હેઠળ પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ અને મોરબી જિલ્લાનો સમાવેશ રહેશે.
સરકારે મોરબી જિલ્લાને પણ બોર્ડર રેન્જમાં સામેલ કરવાનો ર્નિણય લીધો છે. મોરબી જિલ્લો કચ્છને અડીને આવેલો હોવાથી સુરક્ષા અને વહીવટી સંકલનની દૃષ્ટિએ તેને બોર્ડર રેન્જ સાથે જોડવો જરૂરી હોવાનું માનવામાં આવ્યું છે.