Last Updated on by Sampurna Samachar
દિકરાના જન્મ બાદ ડિપ્રેશનમાં હતી
ટુંકી સારવાર બાદ મા – દિકરાએ દમ તોડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના સરથાણાના યોગીચોક વિસ્તારમાં એક માતાએ પોતાના માસુમ દિકરાને એસિડ પીવડાવી પોતે એસિડ પી લીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત કરીએ તો ૨૯ વર્ષીય પરિણીતાએ પોતાના ૪ મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી, બાદમાં પોતે પણ એસિડ પી લેતા માતા-પુત્ર બંનેના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે બાળકના જન્મ બાદ માનસિક સ્થિતિ બગડતા મહિલાએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને હાલ સરથાણા યોગીચોક સ્થિત એવન હાઇટ્સમાં રહેતી ૨૯ વર્ષીય ધારાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં જ થયા હતા. ચાર મહિના પહેલાં જ તેણે એક માસૂમ દીકરા રીશાનને જન્મ આપ્યો હતો. ધારા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની તબીબી દવાઓ પણ ચાલી રહી હતી.
સરથાણા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
બાળકના જન્મ બાદ તેની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. તેની સતત લથડતી તબિયતને કારણે પરિવાર પણ ભારે ચિંતામાં હતો. માનસિક તણાવ એટલો હદ સુધી વધી ગયો હતો કે છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાએ જમવાનું પણ છોડી દીધું હતું અને તે ભારે ડિપ્રેશનમાં સરી પડી હતી. પહેલી જૂનના રોજ સાંજના સમયે ધારા પોતાના ૪ મહિનાના માસૂમ દીકરાને એસિડ પીવડાવી દીધું અને ત્યારબાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક અને માતા બંનેએ દમ તોડી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.