Last Updated on by Sampurna Samachar
વસ્તી ગણતરીની ‘કીટ‘ જ ન મળતા કામ શરૂ ન થયું
૧૦, ૮૦૦ ગણતરીદાર અને ૧૮૦૦ સુપરવાઈઝરનો સ્ટાફ નક્કી કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતભરમાં વસતી ગણતરી કાર્યક્રમના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ગયો હતો, પરંતુ સુરતમાં શરૂઆત થાય તે પહેલાં જ મોટો વિવાદ સામે આવ્યો છે. સુરતના મોટાભાગના વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી પ્રથમ દિવસે જ ખોરવાઈ ગઈ હતી. આ મહત્વપૂર્ણ કામગીરી માટે નિયુક્ત કરાયેલા કર્મચારીઓ અને શિક્ષકોને જરૂરી વસ્તી ગણતરીની ‘કીટ‘ જ ન મળતા તેમણે કામ શરૂ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેના કારણે કરોડોના આ પ્રોજેક્ટના પ્રારંભે જ ધબડકો થયો છે.

સુરત શહેરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે ૧૦, ૮૦૦ ગણતરીદાર અને ૧૮૦૦ સુપરવાઈઝર સહિતનો વિશાળ સ્ટાફ નક્કી કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓએ આગામી ૩૦ જૂન સુધીમાં નાગરિકોના આવાસની સ્થિતિ, કુટુંબની વિગત, પીવાના પાણીનો સ્ત્રોત અને શૌચાલયની સુવિધા સહિતના ૩૩ પ્રશ્નો પૂછીને ફોર્મ ભરવાના છે.
વસ્તી ગણતરીના પ્રથમ દિવસે જ આયોજનના ધજાગરા
જોકે વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે સમયસર કીટ ન પહોંચતા શિક્ષકોમાં ભારે નારાજગી વ્યાપી છે. શિક્ષકોનું કહેવું છે કે સમયસર કામ શરૂ ન થવાને કારણે છેલ્લા દિવસોમાં તેમના પર વર્ક લોડ અસહ્ય વધી જશે.
બીજી તરફ, શાળાઓનું વેકેશન પણ ખુલવાની તૈયારીમાં છે, ત્યારે શિક્ષકોએ પોતાની જૂની પડતર માંગણીઓને લઈને પણ મોરચો માંડ્યો છે. શિક્ષકોએ માંગ કરી છે કે ‘એક શિક્ષક એક બ્લોક‘ની નીતિ અપનાવવામાં આવે. આ ઉપરાંત સગર્ભા મહિલાઓ, પ્રસૂતિ કરાવી ચૂકેલી અને મેડિકલ ઈમરજન્સી ધરાવતી મહિલા કર્મચારીઓને આ વસ્તી ગણતરીની અતિ ભારે કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે.
તેમજ કર્મચારીઓને તેમની શાળા અથવા રહેણાંક વિસ્તારની નજીકના સેન્ટરો ફાળવવાની માગ પણ તંત્ર દ્વારા પૂરી ન કરાતા વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. જુદી જુદી જગ્યાએ સેન્ટરો ફાળવાતા અને કીટ વગર કામગીરી અટકી પડતા સુરતમાં વસ્તી ગણતરીના પ્રથમ દિવસે જ વહીવટી તંત્રના આયોજનના ધજાગરા ઉડ્યા છે.