Last Updated on by Sampurna Samachar
વિદ્યાર્થીઓને ‘જય શ્રી રામ‘નો નારો લગાવાની અપીલ કરી
નિવેદન વાયરલ થયા બાદ વિપક્ષો આક્રમક બન્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ ફરી વિવાદોમાં ઘેરાયા છે. તેમણે મદુરૈની એક એન્જિનિયરિંગ કૉલેજમાં કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ‘જય શ્રી રામ‘ના નારા લગાવવાનું કહેતા રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે.
સોશિયલ મીડિયા પર રાજ્યપાલનું નિવેદન વાયરલ થયા બાદ વિપક્ષો આક્રમક બની ગયા છે. વિપક્ષે રાજ્યપાલના નિવેદનથી વાંધો ઉઠાવી તેમને RSS ના પ્રવક્તા ગણાવ્યા છે. વીડિયોમાં રાજ્યપાલ કમ્બ રામાયણ લખનારા એક પ્રાચીન કવિને શ્રદ્ધાંજલી આપવા માટે વિદ્યાર્થીઓને ‘જય શ્રી રામ‘નો નારો લગાવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે.
કોર્ટના ર્નિણયને DMK ની મોટી જીત માનવામાં આવી
એન્જિનિયરિંગ કૉલેજના એક કાર્યક્રમમાં રાજ્યપાલે કહ્યું કે, ‘આપણે આજના દિવસે તે મહાપુરુષને શ્રદ્ધાંજલી આપીશું, જેઓ શ્રીરામના મહાન ભક્ત હતા. હું કહીશ જય શ્રી રામ, તમે પણ કહો જય શ્રી રામ.’વીડિયોમાં તેઓ વિદ્યાર્થીઓને આવું કહેતા જોવા મળી રહ્યા છે.
રાજ્યપાલના નિવેદનથી સત્તાધારી DMK અને કોંગ્રેસને વાંધો પડ્યો છે. DMK ના પ્રવક્તા ધરનીધરને કહ્યું કે, ‘રાજ્યપાલનું નિવેદન ધર્મનિરપેક્ષ મૂલ્યોની વિરુદ્ધ છે. રાજ્યપાલ બંધારણનું વારંવાર ઉલ્લંઘન કેમ કરી રહ્યા છે? તેમણે હજુ સુધી રાજીનામું કેમ ન આપ્યું? તેઓ RSS ના પ્રવક્તા બની ગયા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ તેમને તેમની ‘જગ્યા’ બતાવી દીધી હતી.
કોંગ્રેસ ધારાસભ્ય આસન મૌલાનાએ પણ રાજ્યપાલની ટીકા કરી કહ્યું કે, ‘તેઓ દેશના ટોચના પદ પર છે, પરંતુ તેઓ કોઈ ધાર્મિક પ્રચારકની જેમ બોલી રહ્યા છે. ભારત ધર્મ, ભાષા અને સંસ્કૃતિ મુદ્દે વિવિધતાથી ભરેલો દેશ છે. રાજ્યપાલ જય શ્રી રામનો નારો લગાવી અસમાનતા અને ધાર્મિક વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ હવે RSS અને BJP ના પ્રચાર બની ગયા છે. તેમનું નિવેદન બંધારણીય પદની ગરિમાની વિરુદ્ધ છે.’
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ એન.રવિએ તમિલનાડુ વિધાનસભામાં પસાર કરાયેલા ૧૦ બિલ અટકાવી દીધા હતા. ત્યારબાદ આ માલમો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે રાજ્યપાલના ર્નિણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ બિલો પરની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે મુલતવી ન રાખી શકે. કોર્ટના ર્નિણયને DMK ની મોટી જીત માનવામાં આવી રહી છે.