Last Updated on by Sampurna Samachar
દેશના મુખ્ય ઍરપૉર્ટ હબ પરથી ઉડતી ઘણી ફ્લાઇટ્સને અસર
ATF ના ભાવમાં ભડકો જોવા મળતાં નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
આવનારા દિવસોમાં હવાઇ મુસાફરી કરનારા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ સ્થાનિક ઉડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો ર્નિણય કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ૧ જૂન ૨૦૨૬ થી આગામી ૯૦ દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે.

એરલાઇન્સ કંપનીઓ દ્વારા લેવાયેલા આ આકરા ર્નિણય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. એક તો ATF ના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અને ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા શહેરોમાં તેની કિંમત પ્રતિ કિલોલીટર ૮૦,૦૦૦થી વધીને ૧ લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે.
માત્ર ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી ઓછી કરવામાં આવશે
ઉનાળાની રજાઓ પૂર્ણ થતાં જ દર વર્ષે હવાઈ મુસાફરોની સંખ્યામાં કુદરતી ઘટાડો જોવા મળે છે. જોકે એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ રૂટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે નહીં, માત્ર ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી ઓછી કરવામાં આવશે. મુસાફરોને છેલ્લી ઘડીએ હાલાકી ન ભોગવવી પડે તે માટે આવી ફ્લાઇટ્સને બુકિંગ વેબસાઇટ્સ પરથી પહેલેથી જ હટાવી દેવામાં આવી છે.
મુંબઈ અને દિલ્હી જેવા દેશના મુખ્ય ઍરપૉર્ટ હબ પરથી ઉડતી ઘણી ફ્લાઇટ્સને આ ર્નિણયની અસર થશે. જેમાં મુંબઈથી અમદાવાદ, નાગપુર, પટના અને ભોપાલ જતી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત દિલ્હી થી હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતાના રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટશે.
આ ઉપરાંત દક્ષિણ ભારતના પણ કેટલાક કનેક્ટિંગ રૂટ્સ પર આની સીધી અસર જોવા મળી શકે છે. એવિએશન સેક્ટરના નિષ્ણાતોનું માનવું છે કે, જો આગામી સમયમાં વિમાન ઇંધણના ભાવ નીચે નહીં આવે, તો એરલાઇન્સ કંપનીઓ પોતાનો આર્થિક બોજ હળવો કરવા માટે ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે. હાલના તબક્કે કંપનીઓ ઓછી ડિમાન્ડ વાળા રૂટ્સ પર ઓપરેશન મર્યાદિત કરીને પોતાનો ખર્ચ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે.