Last Updated on by Sampurna Samachar
મહિલા પહેલવાનોના યૌનશોષણ કેસમાં કોર્ટનો ચૂકાદો
૨૦૨૩માં થયા હતા જંતર મંતર પ્રદર્શનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણી કેસમાં ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. ૨૦૨૩માં આ આરોપો સામે આવ્યા બાદ જંતર-મંતર પર ધરણાં સહિત દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા હતા. બ્રિજભૂષણે ચુકાદા બાદ કહ્યું કે તેમની વાત સાચી સાબિત થઈ છે.

ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ અને છ વાર લોકસભા સાંસદ રહી ચૂકેલા બ્રિજભૂષણ શરણ સિંહને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે રાહત આપી છે. મહિલા કુશ્તીબાજો દ્વારા લગાવાયેલા શારીરિક શોષણના ગંભીર આરોપોના મામલે કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા છે.
પોતે આ કેસની ૬ ફરિયાદીઓમાંથી એક હતી
આ ચુકાદો સંભળાવવામાં આવે તે પહેલાં જ બ્રિજભૂષણ શરણ સિંહ રાઉઝ એવેન્યુ કોર્ટ પહોંચ્યા હતા. તે સમયે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું ફક્ત તે જ સાંભળીશ જે કોર્ટ કહેશે, મારા હાથમાં કશું જ નથી.’
આ ચુકાદા બાદ ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે, ‘જે દિવસે મારા પર આરોપ લાગ્યા હતા, તે જ દિવસે મેં કહ્યું હતું કે જો મારા પરના આરોપો સાબિત થશે તો હું ખુશીથી ફાંસીની સજા પણ સ્વીકારી લઈશ. આજે કોર્ટે મને નિર્દોષ જાહેર કર્યો છે અને મારી વાત સાચી સાબિત થઈ છે. કોર્ટે મને નિર્દોષ મુક્ત કર્યો છે. હવે હું બસ એટલું જ કહીશ કે, જે કંઈ થવાનું હતું તે થઈ ગયું.
વર્ષ ૨૦૨૩માં આ આરોપો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઓલિમ્પિક મેડલ વિજેતા અને દેશના ટોચના પહેલવાનો—જેમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સામેલ હતા—તેમણે દિલ્હીના જંતર-મંતર પર ધરણા પ્રદર્શન કર્યા હતા. તેમની મુખ્ય માગ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવા અને તેમને કુસ્તી સંઘના પદ પરથી હટાવવાની હતી.
આ વિરોધ પ્રદર્શને તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું હતું. નવા સંસદ ભવન તરફ માર્ચ કરતી વખતે દિલ્હી પોલીસે કેટલાક રમતવીરોની અટકાયત કરી હતી, જેની વૈશ્વિક રમતગમત સંસ્થાઓ અને રમતપ્રેમીઓ દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી.
આ ચુકાદાના થોડા મહિના પહેલા જ ઓલિમ્પિયન વિનેશ ફોગાટે સાર્વજનિક રીતે ખુલાસો કર્યો હતો કે તે પોતે આ કેસની ૬ ફરિયાદીઓમાંથી એક હતી. વિનેશ ફોગાટે એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, જાતીય સતામણી પીડિતોની ઓળખ ગુપ્ત રાખવા અંગેની સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર તેણે શરૂઆતમાં પોતાની ઓળખ ગુપ્ત રાખી હતી.