Last Updated on by Sampurna Samachar
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
મુંબઇમાં એચ.એન હોસ્પિટલમાં હુમલામાં ઇજાગ્રસ્તોની ફ્રી સારવાર થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાને લઇ રાજનેતાઓ, રમત ગમત જગતના ખેલાડીઓ, ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓએ નિંદા કરી છે. એવામાં હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ આ આતંકી હુમલાને દુ:ખદ ગણાવ્યો છે અને નિર્દોષ ભારતીયોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
મુકેશ અંબાણીએ આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની રિલાયન્સ ફાઉન્ડેશનની સર એચ.એન હોસ્પિટલમાં મફતમાં સારવાર કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીયોના મૃત્યુ પર રિલાયન્સ પરિવાર શોક વ્યક્ત કરે છે. પીડિત પરિવારો પ્રત્યે અમે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ.
આતંકવાદ માનવતાનો દુશ્મન
અમે આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરીએ છીએ. તેમણે કહ્યું કે, મુંબઈ ખાતે આવેલી અમારી રિલાયન્સ ફાઉન્ડેશનની સર એચ.એન હોસ્પિટલમાં પહલગામ આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મફતમાં સારવાર કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તેને કોઈએ કોઈ પણ રીતે સમર્થન આપવું જોઈએ નહીં. અમે આતંકવાદના ખતરા સામેની નિર્ણાયક લડાઈમાં વડાપ્રધાન, ભારત સરકાર અને સમગ્ર દેશની સાથે ઊભા છીએ.