Last Updated on by Sampurna Samachar
કલમ ૩૭૦ રદ કર્યા પછીનો આ સૌથી મોટો હુમલો
મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીર ઘાટી સહિત સમગ્ર દેશમાં શોક ફેલાયેલો છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં પોલીસ નિયંત્રણ કક્ષ બહાર એક માર્મિક સમારંભમાં પુષ્પાંજલિ અર્પણ કરી પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ દુર્ઘટનાથી ફક્ત કાશ્મીર જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો, જેમાં નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા, જે ૨૦૧૯ માં કલમ ૩૭૦ રદ કર્યા પછીના સૌથી મોટા આતંકવાદી હુમલાઓમાંનો એક હતો.
આતંકીઓને બક્ષવામાં આવશે નહીં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (AMIT SHAH) શ્રીનગર પહોંચ્યા પછી પહેલગામ આતંકવાદી હુમલા બાદ તમામ એજન્સીઓ સાથે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે અગાઉ કહ્યું હતું કે આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. અમિત શાહે આ ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી દુ:ખી છું. મારી સંવેદનાઓ મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. આ જઘન્ય આતંકવાદી કૃત્યમાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને સૌથી કડક સજા આપીશું. આ ઘટના વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી.”