Last Updated on by Sampurna Samachar
આ હુમલો સંપૂર્ણપણે પૂર્વયોજિત , નોંધાયેલ FIR માં થયો ખુલાસો
હુમલાખોરો આર્મી જવાનોના કપડામાં હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા અંગે નોંધાયેલી FIR માં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. FIR મુજબ, આ હુમલો સંપૂર્ણપણે પૂર્વયોજિત હતો અને આતંકીઓએ સરહદ પારથી તેમના હેન્ડલરોના નિર્દેશ પર તેને અંજામ આપ્યો હતો.
આતંકીઓએ ગેરકાયદે રીતે મેળવેલા ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને લગભગ ૩૦ મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૮ પ્રવાસીઓ માર્યા ગયા. આ હુમલો બપોરે ૧.૫૦થી ૨.૨૦ વાગ્યાની વચ્ચે થયો હતો.
અચાનક ગોળીબાર અને ચીસોનો અવાજ સંભળાયો
અહેવાલ અનુસાર, ફરિયાદમાં જણાવાયું છે કે હુમલાખોરો આર્મી જવાનોના કપડામાં હતા અને અચાનક બેસરન ખીણની આસપાસના ગાઢ પાઇન જંગલોમાંથી બહાર આવ્યા. આ દરમિયાન પ્રવાસીઓ હરિયાળીનો આનંદ માણી રહ્યા હતા. અચાનક ગોળીબાર અને ચીસોનો અવાજ આવ્યો.
થોડીવારમાં ઘણાં લોકો જમીન પર પડી ગયા અને ઘણાં ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને બપોરે ૨.૩૦ વાગ્યે હુમલાની માહિતી મળી હતી અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા. બેસરન સુધી જવા માટે કોઈ મોટરેબલ રસ્તો ન હોવાથી, સુરક્ષા દળોને ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગ્યો.
ફરિયાદમાં જણાવાયું છે કે, પોલીસને સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સરહદ પારથી તેમના આકાઓ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર ગેરકાયદે ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને પહલગામના બેસરન ખાતે આતંકી દ્વારા પૂર્વ આયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો હેતુ માત્ર હત્યા કરવાનો જ નહીં પરંતુ લોકોમાં ભય અને આતંક ફેલાવવાનો પણ હતો.
આ મામલે ભારતીય દંડ સંહિતા(IPC )ની અનેક કડક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ ૧૧, ૧૦૩ અને ૧૦૯, ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA), અને શસ્ત્ર અધિનિયમ સહિત ગંભીર જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી હતી. આર્મ્સ અધિનિયમની કલમ ૭ અને ૨૭, અને UAPA ની કલમ ૧૬, ૧૮ અને ૨૦ પણ લાગુ કરવામાં આવી છે.