Last Updated on by Sampurna Samachar
હુમલાના પ્રયાસને નિષ્ફળ કર્યા છતાં પાકિસ્તાનમાં ઘમંડ
જો વાતચીત નહીં થાય તો, બંદૂકો જ એકમાત્ર રસ્તો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત – પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ગોળીબારમાં ભારતે પાકિસ્તાનના તમામ પ્રયાસને નિષ્ફળ બનાવ્યું છે. તેમ છતાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો ઘમંડ ઓછો થઈ રહ્યો નથી. તેમણે ફરી એક વખત ભારતને ધમકી આપી હતી કે, જો વાતચીત નહીં થાય તો, બંદૂકો જ એકમાત્ર રસ્તો છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે, “જો ભારત રાજદ્વારી અને રાજકીય સ્તરે જોડાશે નહીં તો, અમે (પાકિસ્તાન) બંદૂકોથી જવાબ આપીશું.” તેમણે કહ્યું કે, પાકિસ્તાન પાસે રાહ જોવા અને ધીરજ બતાવવાનો સમય નથી.
આ સંઘર્ષ સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ જવાની સંભાવના
આસિફે પણ એવું કહેવાની તક ગુમાવી નહીં કે, આપણે ભારતને અહીં રોકવું પડશે. આ પહેલી વાર નથી, જ્યારે સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારતને ચેતવણી આપી હોય હતી. આ અગાઉ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને પંજાબ પ્રાંતમાં આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી હુમલાના કલાકો પછી, તેમણે કહ્યું હતું કે, ઇસ્લામાબાદ સંપૂર્ણ યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. આસિફે CNN ના બેકી એન્ડરસનને જણાવ્યું કે, “આ સંઘર્ષ સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ જવાની સંભાવના છે, જેને આપણે ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
તેમણે દાવો કર્યો હતો કે, ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી હતી. આસિફે કહ્યું કે, મોડી રાત્રે થયેલો હુમલો “સ્પષ્ટ ઉલ્લંઘન અને સંઘર્ષને વધારવા અને તેને વધુ વ્યાપક અને ખતરનાક બનાવવાનું આમંત્રણ હતું.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આગળ શું થશે, ત્યારે મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન “પૂર્ણ યુદ્ધ માટે તૈયાર છે.”
ઉલ્લેખનીય છે કે, ભારતે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જે હેઠળ ૨૨ એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે POK અને પંજાબમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, પહલગામ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા.