ફિલિપાઇન્સમાં સૌથી શક્તિશાળી ભૂકંપથી ચારે તરફ તબાહી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૨૦,૦૦૦ થી વધુ લોકો બેઘર બન્યા તો હજુ પણ લોકો દટાયેલા

રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે આપી સૂચના

(સંપૂર્ણ સમાચાર સેવા)

દક્ષિણ ફિલિપાઇન્સમાં સવારે આવેલા ભયાનક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર ૭.૮ની તીવ્રતા ધરાવતા આ શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૭ લોકોના મોત અને ૫૦૦ થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી છે. આ આપત્તિના કારણે ૨૦,૦૦૦થી વધુ લોકો બેઘર બન્યા છે, જેમને ઈમરજન્સી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી રેકોર્ડ મુજબ હાલમાં માત્ર ૪ લોકો જ ગુમ છે, પરંતુ કાટમાળ નીચે હજુ પણ લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે બચાવકર્મીઓ ધરાશાયી થયેલી ઇમારતોમાં સઘન શોધખોળ ચલાવી રહ્યા છે.

ભૂકંપનું કેન્દ્રબિંદુ ફિલિપાઇન્સના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા ટાપુ મિંડાનનની દરિયાઈ સરહદમાં હતું. તીવ્ર આંચકાના કારણે દરિયામાં ૧.૪ મીટર ઊંચા મોજા ઉછળતા લોકોમાં સુનામીનો ફફડાટ ફેલાયો હતો. જોકે, સુનામીના કારણે માત્ર એક દરિયાકાંઠાના ગામમાં છ ઝૂંપડાઓને જ નુકસાન થયું છે, જ્યારે તેના નાના મોજા ઈન્ડોનેશિયા અને દક્ષિણ જાપાન સુધી પહોંચ્યા હતા.

અમેરિકા, ફ્રાન્સ, જાપાન અને ન્યુઝીલેન્ડ મદદ માટે હાથ લંબાવ્યો

સૌથી વધુ તબાહી ભૂસ્ખલન અને ઇમારતો પડવાના કારણે થઈ છે. ફિલિપાઇન્સની ‘ટુના કેપિટલ‘ તરીકે ઓળખાતા જનરલ સેન્ટોસ શહેરમાં કાટમાળ પડવાથી ૧૩ લોકોના મોત થયા છે, જ્યારે સારાંગાની પ્રાંતના પહાડી નગરમાં ભૂસ્ખલન થતાં અનેક મકાનો દબાઈ ગયા હતા, જેમાં ૧૮ લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે બે મહિનાના ઉનાળુ વેકેશન પછી શાળાઓનો પહેલો જ દિવસ હતો. સવારની ધ્વજવંદન સભા માટે ઉત્સાહભેર એકઠા થયેલા માસૂમ વિદ્યાર્થીઓ આ આફતમાં મોટી સંખ્યામાં ઇજાગ્રસ્ત થયા છે. પ્રારંભિક સરકારી આંકડા મુજબ, આશરે ૨,૦૦૦ મકાનો અને ૧૧૭ સરકારી ઇમારતોને નુકસાન થયું છે. જનરલ સેન્ટોસનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ૬૩ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.

પ્રશાસને જણાવ્યું છે કે અંદાજે ૬,૦૦૦ સરકારી શાળાની ઇમારતોની તપાસ કર્યા વગર શાળાઓ ફરી શરૂ કરી શકાય તેમ નથી, કારણ કે આફ્ટરશોક્સના કારણે તિરાડો પડેલી ઇમારતો ગમે ત્યારે તૂટી પડવાનું જોખમ છે.

કોટાબેટો ટ્રેન્ચમાં થયેલી હલચલને કારણે આ ભૂકંપ આવ્યો હતો અને તે ૧૯૭૬ પછીનો દેશનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે. અગાઉ ૧૭ ઓગસ્ટ, ૧૯૭૬ના રોજ આ જ વિસ્તારમાં ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી સર્જાયેલી વિનાશક સુનામીમાં ૮,૦૦૦ લોકોના મોત થયા હતા. આ સિવાય ૧૯૯૦માં પણ ૭.૮ની તીવ્રતાના ભૂકંપે ઉત્તરીય પ્રાંતોમાં ૧,૦૦૦થી વધુ લોકોનો ભોગ લીધો હતો. આ ભયાનક આપત્તિને જોતા રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે મનિલાથી ઉચ્ચ સંરક્ષણ અધિકારીઓને રાહત સામગ્રી અને બચાવ કામગીરી પર દેખરેખ રાખવા માટે રવાના કર્યા છે.

આ મુશ્કેલ સમયમાં અમેરિકા, ફ્રાન્સ, જાપાન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોએ ફિલિપાઇન્સને મદદ કરવાની તૈયારી દર્શાવી છે. ભૌગોલિક દ્રષ્ટિએ ફિલિપાઇન્સ પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર‘ પર આવેલું હોવાથી ત્યાં વારંવાર ધરતીકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓ બનતી રહે છે. આ ઉપરાંત, આ ટાપુ સમૂહ દર વર્ષે આશરે ૨૦ જેટલા ભયાનક વાવાઝોડા અને દરિયાઈ તોફાનોનો સામનો કરે છે, જે તેને વિશ્વના સૌથી વધુ આપત્તિ-સંભવિત દેશોમાંથી એક બનાવે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.