Last Updated on by Sampurna Samachar
આ સેવાનો લાભ ડ્રાઇવરોને મળશે
ગૃહમંત્રી અમિત શાહે આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકાર દ્વારા નવી સહકારી ટેક્સી (TAXI) સેવા સહકાર ટેક્સી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટેક્સી સેવા શરૂ કરવાનો ઉદ્દેશ બાઇક, કેબ અને ઓટો સેવાઓ પૂરી પાડવાનો છે. આ સહકારી ટેક્સી સેવાની શરૂઆત ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી માર્કેટમાં હાજર કંપનીઓને પડકાર આપશે. ગૃહમંત્રી અમિત શાહે આ યોજનાની જાહેરાત કરતા કહ્યું કે આ સેવાનો લાભ કોઈ મોટા ઉદ્યોગપતિને નહીં, પરંતુ ડ્રાઇવરોને મળશે.
કેન્દ્ર સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય એક વૈકલ્પિક પરિવહન સેવા પૂરી પાડવાનો છે, જ્યાં ડ્રાઇવરો મોટી કંપનીઓને કોઈ લાભ આપ્યા વિના પૈસા કમાઈ શકશે. સંસદમાં આ પહેલની જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, સહકારી ટેક્સી દેશભરમાં ટુ-વ્હીલર ટેક્સીઓ, ઓટો-રિક્ષા અને ફોર-વ્હીલર ટેક્સીઓની નોંધણી કરાવશે.
સહકારી વીમા કંપની પણ બનશે
અમિત શાહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સહકાર દ્વારા સમૃદ્ધિ ફક્ત એક સૂત્ર નથી. આને વાસ્તવિકતા બનાવવા માટે, સહકાર મંત્રાલયે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં દિવસ-રાત કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. ખાનગી કંપનીઓથી વિપરીત, આ સરકારી સેવા ખાતરી કરશે કે બધી કમાણી ડ્રાઇવરો પાસે જ રહે, જેનાથી તેમને વધુ નાણાકીય લાભ મળશે.
અમિત શાહે કહ્યું કે આ ઉપરાંત, એક સહકારી વીમા કંપની પણ બનાવવામાં આવશે. જે દેશના લોકોને વીમા સેવાઓ પૂરી પાડશે. તેમણે વધુમાં કહ્યું કે ટુંક સમયમાં તે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વીમા કંપની બનશે. યાત્રી સાથી નામની આવી જ સેવા પશ્ચિમ બંગાળમાં પહેલેથી જ ચાલી રહી છે, જે પહેલા ફક્ત કોલકાતામાં જ ઉપલબ્ધ હતી. હવે તે સિલિગુડી, આસનસોલ અને દુર્ગાપુર જેવા શહેરોમાં પણ વિસ્તરી છે.
યાત્રી સાથી ઝડપી બુકિંગ, સ્થાનિક ભાષામાં માહિતી, સસ્તા ભાડા અને ૨૪ટ૭ ગ્રાહક સપોર્ટ પણ પ્રદાન કરે છે, જે તેને પ્રવાસીઓમાં લોકપ્રિય પસંદગી બનાવે છે. કેરળ દેશનું પ્રથમ રાજ્ય હતું. જેણે ૨૦૨૨ માં સરકારી ઓનલાઈન ટેક્સી સેવા કેરળ સવારી શરૂ કરી હતી. ઓછા ઉપયોગને કારણે તે બંધ થઈ ગઈ હોવા છતાં, રાજ્ય સરકાર હવે તેને સુધારેલા ભાડા અને વધુ સારા સોફ્ટવેર સાથે ફરીથી શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
સહકારી ટેક્સી સેવાઓના આગમન સાથે, દિલ્હી, મુંબઈ, લખનઉ, પટના, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા શહેરોમાં પરિવહન વ્યવસ્થામાં મોટો સુધારો થઈ શકે છે. અત્યાર સુધી લોકોને ઓલા અને ઉબેર જેવી ટેક્સી સેવાઓ પર આધાર રાખવો પડે છે. શરૂઆતના તબક્કામાં આ ટેક્સી સેવાઓથી ડ્રાઇવરોને ઘણો ફાયદો થતો હતો, પરંતુ હવે કંપનીઓએ તેમનું કમિશન વધારી દીધું છે. આવી સ્થિતિમાં ટેક્સી સેવામાંથી થતા નફામાં ડ્રાઇવરોનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટી ગયો છે.