Last Updated on by Sampurna Samachar
કેન્દ્ર સરકારે પાકિસ્તાનીઓ માટે ડેડલાઈન વધારી દીધી
ડેડલાઈન આગામી આદેશ સુધી લંબાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તાબડતોડ ર્નિણયો લેવાઈ રહ્યા છે. સરકારે ભારતમાં રહેતાં પાકિસ્તાનીઓને પોતાના દેશ પરત ફરવા માટે ૪૮ કલાકનો સમય આપ્યો હતો. જેની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં હજી ભારતમાં પાકિસ્તાનના નાગરિકો હાજર છે. કેન્દ્ર સરકારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં આ ડેડલાઈન આગામી આદેશ સુધી લંબાવી છે.
કેન્દ્ર સરકારે ૩૦ એપ્રિલ સુધી પાકિસ્તાનીઓને પોતાના વતન પરત ફરવા કડક આદેશ આપ્યો હતો. જોકે, હજી કેન્દ્ર સરકારે પાકિસ્તાનીઓને પરત મોકલવા અટારી-વાઘા બોર્ડર ખુલ્લી રાખી છે. સરકારની પ્રથમ ડેડલાઈન દરમિયાન છેલ્લા છ દિવસમાં ૫૫ રાજદ્વારીઓ, આશ્રિતો અને સહાયક કર્મચારીઓ સહિત ૭૮૬ પાકિસ્તાની નાગરિક અટારી-વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન પરત ફર્યા છે.
મેડિકલ વિઝા ધારકોના વિઝા ૨૯ એપ્રિલના રદ કર્યા
પંજાબમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ મારફત પાકિસ્તાનમાંથી ૧૪૬૫ ભારતીયો પરત વતન ફર્યા છે. જેમાં ૨૫ રાજદ્વારીઓ અને અધિકારી સામેલ છે. ભારતીય વિઝાધારક ૧૫૧ પાકિસ્તાની પણ ભારત પરત ફર્યા છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલના રોજ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી પર્યટકો પર હુમલો કર્યો હતો. જેમાં ૨૬ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.
આ હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર ભારત છોડવા આદેશ આપ્યો હતો. જેમાં મેડિકલ વિઝા ધારકોના વિઝા ૨૯ એપ્રિલના રદ કર્યા હતા. પહેલાં ૨૬ એપ્રિલ સુધી તમામ પાકિસ્તાનીઓને ભારત છોડવા આદેશ આપ્યો હતો. જ્યારે પ્રોફેશનલ, બિઝનેસ, ફિલ્મ, પત્રકાર, સંમેલન, પર્વતારોહણ, વિદ્યાર્થી, પ્રવાસી, ગ્રૂપ ટુરિઝમ, તીર્થયાત્રી વિઝા ૨૭ એપ્રિલના રદ કર્યા હતા.
અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, ૨૯ એપ્રિલના ૧૧ રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત કુલ ૪૬૯ ભારતીયો પાકિસ્તાનથી પરત ફર્યા છે. ૨૮ એપ્રિલના ૧૪૬ ભારતીય, ૨૭ એપ્રિલના એક રાજદ્વારી સહિત ૧૧૬ ભારતીય, ૨૬ એપ્રિલના રોજ ૧૩ રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિત ૩૪૨ ભારતીય પરત આવ્યા છે. ૨૫ એપ્રિલના ૨૮૭ અને ૨૪ એપ્રિલના રોજ ૧૦૫ ભારતીય વતન આવ્યા હતાં.