Last Updated on by Sampurna Samachar
ગાડીમાંથી જેવા નીચે ઉતરતા અંધાધૂધ ફાયરિંગ કરાયું
હત્યા બાદ કરણી સેનાના કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઝારખંડ પ્રદેશના પ્રમુખ વિનય સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિનય સિંહની હત્યા બાદ કરણી સેનાના કાર્યકર્તાઓએ ડિમના રોડ તથા નેશનલ હાઇવે ૩૩ પર દેખાવો કરતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી.
મળતી માહિતી અનુસાર વિનય સિંહ એક કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા, તેઓ જેવા જ તેમની ગાડીમાંથી નીચે ઉતર્યા કે અચાનક જ તાબડતોબ ફાયરિંગ કરાઇ અને ઘટનાસ્થળે જ તેમનું મોત થઇ ગયુ હતું. ત્યારે પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે હુમલાખોરો ઘટના બાદ બાઇક લઈને ભાગી ગયા હતા. કયા કારણે હત્યા કરાઇ તે અંગે હજુ સુધી પોલીસને કોઈ પૂરાવા મળ્યા નથી.
સવારે ઘરેથી નીકળ્યા બાદ કોઇ સંપર્ક થયો નહીં
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે વિનય સિંહનો મૃતદેહ નેશનલ હાઇવેથી ૨૫૦ મીટર દૂર એક ખેતરમાંથી મળ્યો. તેમના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ અને એક સ્કૂટી તથા મોબાઈલ ફોન મળી આવ્યો છે. પોલીસને સૂચના આપવામાં આવી હતી કે વિનય સિંહ સવારે ૧૧.૩૦ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
વિનય સિંહનો મૃતદેહ મળ્યા બાદ સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તેમજ તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. પોલીસ CCTV ફૂટેજના આધારે હત્યારાઓની ઓળખ કરવાના પ્રયાસ કરી રહી છે.