Last Updated on by Sampurna Samachar
મોરારી બાપુએ શ્રીનગરમાં આયોજિત કથા સ્થગિત કરાઇ
રૂ. ૫ લાખ તુલસીપત્રરૂપે સહાય આપવાની જાહેરાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ મોરારી બાપુએ હાલ શ્રીનગરમાં તેમની રામકથાને સ્થગિત કરવાનો ર્નિણય કર્યો છે. પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્રએ રામકથામાં કોઈપણ વિક્ષેપ ન સર્જાય તેના માટે જરૂરી તમામ સહયોગ અને સુરક્ષા પ્રદાન કરવાની ખાતરી આપી છે. જોકે, કાશ્મીર બંધના એલાન તથા રામકથામાં સામેલ વ્યક્તિઓના મનમાં અશાંતિ હોય અને તેઓ કથાનો આનંદ ન ઉઠાવી શકે તેવી સ્થિતિમાં હાલ રામકથા સ્થગિત કરવાનો ર્નિણય કરાયો છે.
મોરારિ બાપૂએ ઉમેર્યું હતું કે પાંચ દિવસની રામકથા કર્યા બાદ આપણે તેને સ્થગિત કરી રહ્યાં છીએ અને ચાર દિવસની કથા બાકી છે તે ભગવાનની કૃપા હશે ત્યારે અહીં આવીને પૂર્ણ કરીશ.
હુમલામાં મોતને ભેટનાર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
જમ્મૂ કાશ્મીરમાં થયેલા હુમલાને દેશભરમાં લોકોએ વખોડ્યો છે તો મોરારિ બાપુએ પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટનાર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ૨૭ પર્યટકોની હત્યા વિશે દુ:ખ પ્રગટ કરતાં મોરારિ બાપુએ માનસ શ્રીનગર રામકથામાં કહ્યું હતું કે, મારી વ્યાસપીઠ સાથે જોડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયાં છે તેઓ વહેલા સાજા થઈ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના.
તેમણે ઉમેર્યું હતું કે, કથા સાથે જોડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે. હાલ, કોઈ પર્યટન હેતુ માટે ગયાં હોય અથવા પછીથી કથામાં સામેલ થનાર હોય તેમને કદાચ ક્ષતિ થઈ હોય શકે. આ ઘટના કથાના સ્થળેથી ૧૦૦ કિમી દૂર ઘટી છે. અહીં સંપૂર્ણ સુરક્ષા છે, પરંતુ મનમાં પીડા છે. રામકથા સાથે જોડાયેલા હોય કે ન હોય, દરેક વ્યક્તિને મારી શ્રદ્ધાંજલિ. હું પરમ સ્નેહી અરૂણભાઈને કહીશ કે દિવંગત વ્યક્તિઓના પરિવારોને રૂ. ૫ લાખ તુલસીપત્રરૂપે સહાય આપવાની વ્યવસ્થા કરે.