Last Updated on by Sampurna Samachar
પહલગામ હુમલા બાદ ઘરમાં ઘૂસીને ગોળી મારી દીધી
હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે. એવામાં આતંકવાદ વિરોધી કાર્યવાહી સુરક્ષા દળોએ છેલ્લા ૨૪ કલાકમાં કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકવાદીઓના ચાર વધુ ઘરોને ઉડાવી દીધા છે, ત્યારે આતંકવાદીઓએ એક સામાજિક કાર્યકરની ગોળી મારીને હત્યા કરી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં શંકાસ્પદ બંદૂકધારીઓએ મોડી રાત્રે ૪૫ વર્ષીય ગુલામ રસૂલ માગરે નામના સામાજિક કાર્યકારની તેમના નિવાસસ્થાને ગોળી મારી હત્યા કરી હતી. હુમલા બાદ, સંયુક્ત સુરક્ષા દળોએ હુમલાખોરોને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન શરૂ કર્યું. જમ્મુ અને કાશ્મીર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ નથી, સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે માગરેનો ભાઈ ગુલામ મોહીદ્દીન માગરે લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (LOC) માં રહે છે. મોહિદ્દીન લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથનો સક્રિય સભ્ય હોવાનું માનવામાં આવે છે.
સેંકડો શંકાસ્પદોની પૂછપરછ માટે કરાઇ અટકાયત
કુપવાડામાં એક નાગરિકની હત્યા એવા સમયે થઈ છે. જ્યારે સુરક્ષા દળોએ આ અઠવાડિયાની શરૂઆતમાં પહલગામ હુમલાને પગલે કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કાર્યવાહી તીવ્ર બનાવી દીધી છે. ચાલુ કાર્યવાહીમાં, ઓછામાં ઓછા ૯ આતંકવાદીઓના ઘરો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યા છે અને સેંકડો શંકાસ્પદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
વિસ્ફોટકોનો ઉપયોગ કરીને આતંકવાદીઓના વધુ ત્રણ ઘરોનો નાશ કરવામાં આવ્યો છે. જે ઘરોને ઉડાવી દેવામાં આવ્યા તેમાં ઝૈનાપોરા શોપિયામાં અદનાન સફી ડાર, બાંદીપોરામાં જમીલ અહમદ શીર ગોજરી અને પુલવામાના ત્રાલમાં આમિર નઝીર વાનીના ઘરોનો સમાવેશ થાય છે.