Last Updated on by Sampurna Samachar
રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ સાથે SC માં થઇ હતી અરજી
સાંસદ નિશિકાંત દુબેએ ઉઠાવ્યા સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં સરકાર એટલે કે કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચેની તકરાર સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પછી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. એવામાં હવે સુપ્રીમ કોર્ટે પણ અરજીઓની સુનાવણી દરમિયાન જવાબ આપ્યો છે.
બંગાળમાં થઈ રહેલી હિંસાના કારણે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે અમારા પર પહેલેથી જ કાર્યપાલિકાના અધિકારક્ષેત્ર પર અતિક્રમણનો આરોપ લાગી રહ્યા છે. તમે ઇચ્છો છો કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે અમે રાષ્ટ્રપતિને આદેશ આપીએ?
નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર સીધો હુમલો કર્યો
નોંધનીય છે કે આ સિવાય સુપ્રીમ કોર્ટમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ આપેલા નિવેદન વિરુદ્ધ કોર્ટના અવમાનની કાર્યવાહી મુદ્દે પણ સુનાવણી થઈ હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ નિશિકાંત દુબેના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જેના પર જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે તમે શું ઇચ્છો છો ? તો વકીલે જવાબ આપ્યો કે હું અવમાનનો કેસ દાખલ કરવા માંગુ છું. જસ્ટિસ ગવઈએ જવાબમાં કહ્યું કે તો તમે કેસ કરો, અમારી અનુમતિની જરૂર નથી. તમારે એટોર્ની જનરલ પાસેથી મંજૂરી લેવી પડશે.
મીડિયા સાથે વાતચીતમાં નિશિકાંત દુબેએ કહ્યું હતું, કે ‘સુપ્રીમ કોર્ટમાં પોતાની હદની બહાર જઈ રહી છે. દરેક વસ્તુ માટે સુપ્રીમ કોર્ટ જવું પડે તો પછી સંસદ અને રાજ્યોની વિધાનસભા બંધ જ કરી દેવી જોઈએ. દેશમાં થઈ રહેલા ગૃહયુદ્ધો માટે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જવાબદાર છે.
અનુચ્છેદ ૩૭૭ માં સમલૈંગિકતાને ગુનો માનવામાં આવતું. હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન સૌ કોઈ માને છે કે સમલૈંગિકતા ગુનો છે. પણ સુપ્રીમ કોર્ટે કાયદો ખતમ કરી નાખ્યો. આર્ટિકલ ૩૬૮ હેઠળ સંસદને કાયદો બનાવવાનો અધિકાર છે જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે કાયદાની વ્યાખ્યા કરવાનો અધિકાર છે. આર્ટિકલ ૧૪૧ અનુસાર અમે જે કાયદા બનાવીશું તે નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લાગુ થશે.‘
નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર સીધો હુમલો કર્યો અને રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું છે, કે ‘જ્યારે રામ મંદિર કે કૃષ્ણ જન્મભૂમિ કે પછી જ્ઞાનવાપીની વાત આવે ત્યારે કહો છો કે કાગળ બતાવો. મસ્જિદ પર વાત આવે ત્યારે કહે છે કે કાગળ ક્યાંથી બતાવશે? સુપ્રીમ કોર્ટ હવે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પૂછી રહ્યા છે કે ખરડાઓના સંબંધમાં શું કરવાનું છે?
ભારતના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ જ રાષ્ટ્રપતિ કરે છે, તો તમે રાષ્ટ્રપતિને નિર્દેશ કઈ રીતે આપી શકો? સંસદ દેશ માટે કાયદા બનાવે છે, તમે સંસદને નિર્દેશ આપશો? આવા નવા કાયદા તમે ક્યારે બનાવી લીધા? કયા કાયદામાં લખ્યું છે કે રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર ર્નિણય લેવા પડશે? સીધો અર્થ છે કે તમે (સુપ્રીમ કોર્ટ) દેશને અરાજકતા તરફ લઈ જવા માંગો છો. સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીશું.‘