Last Updated on by Sampurna Samachar
સાંપ્રદાયિક ગીતો વગાડવાને લઈને વિવાદ થયાની માહિતી
સ્થળ પર સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઝારખંડ (ZARKHAND) ના હઝારીબાગ જિલ્લામાં હિંસાનો મામલો સામે આવ્યો છે. અહીં ધાર્મિક જૂલુસ દરમિયાન કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. આ ઘટના અંગે માહિતી આપતાં સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી પરમેશ્વર કામતીએ જણાવ્યું કે, આ ઘટના રાત્રે લગભગ ૧૧:૦૦ વાગ્યે જામા મસ્જિદ ચોક પાસે બની હતી, જ્યારે રામ નવમી ઉત્સવ હેઠળ મંગળા જૂલુસ નીકાળવામાં આવી રહ્યું હતું. બંને બાજુથી પથ્થરમારો થયો હતો. લોકોનું કહેવું છે કે જૂલુસ દરમિયાન સાંપ્રદાયિક ગીતો વગાડવાને લઈને વિવાદ થયો હતો.
બીજી તરફ આ ઘટના અંગે માહિતી આપતાં અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે દાવો કર્યો કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સ્થળ પર સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, પથ્થરમારા પાછળનું સાચું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. આ ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમને પકડી લેવામાં આવશે.
હવે પરિસ્થિતિ સામાન્ય બની
આ ઘટનાની માહિતી આપતાં સ્થાનિક લોકોએ સત્ય જણાવ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું કે, જૂલુસ દરમિયાન ડીજે પર સાંપ્રદાયિક ગીતો વગાડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન જ વિવાદ થયો અને પથ્થરમારો શરૂ થઈ ગયો. એક પક્ષ તરફથી પથ્થરમારો શરૂ થયા બાદ બીજા પક્ષના લોકોએ પણ પથ્થરમારો શરૂ કરી દીધો. આ પથ્થરમારામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. જોકે, પોલીસનું કહેવું છે કે આ ઘટના બાદ સ્થિતિ નિયંત્રણમાં છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિક્ષક અરવિંદ કુમાર સિંહને પણ ઘટનાસ્થળે આવવું પડ્યું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. ઘણી દુકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જોકે, હવે પરિસ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે. પરંતુ પોલીસ હજુ પણ હાજર છે.
ઘટના દરમિયાન સતત પથ્થરમારો થઈ રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પહેલા શાંતિ-વ્યવસ્થા સ્થાપિત કરી અને લોકોને સમજાવ્યા બાદ તેમને ઘરે મોકલી દીધા. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા માટે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને વિસ્તારમાં શાંતિ પુન:સ્થાપિત થઈ ગઈ છે.