Last Updated on by Sampurna Samachar
હાલ તે ODI ફોર્મેટમાં કેપ્ટન તરીકે રમશે
૧૧ વર્ષ લાંબી ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અને ઉમદા કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિતની આ જાહેરાત બાદ તેની ૧૧ વર્ષ લાંબી ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો છે. અગાઉ ૩૮ વર્ષીય રોહિત T૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી પણ સંન્યાસ જાહેર કર્યો હતો. હાલ તે ODI ફોર્મેટમાં રમશે. આ ફોર્મેટમાં તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે.
રોહિત શર્માનું ટેસ્ટ ક્રિકેટ કારકિર્દી ખૂબ સારી રહી છે. તે ભારત માટે ઓપનિંગથી માંડી ૬ નંબર સુધી રમ્યો છે. જોકે, ટેસ્ટ ક્રિકેટમાં તે ઓપનર તરીકે ખૂબ સફળ ખેલાડી રહ્યો છે. રોહિતે પોતાની કારકિર્દીમાં ૬૭ ટેસ્ટ મેચમાંથી ૪૦.૫૭ ની એવરેજમાં ૪૩૦૧ રન બનાવ્યા છે. જેમાં ૧૨ સદી તથા ૧૮ અર્ધસદી ફટકારી હતી. આ આક્રમક અંદાજ ધરાવતો શર્મા ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગના રેકોર્ડની અત્યંત નજીક પહોંચ્યો હતો. જોકે, તે રેકોર્ડ તોડે તે પહેલાં જ તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી.
વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડતા રહી ગયો
રોહિત શર્માએ પોતાની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીમાં કુલ ૮૮ છગ્ગા ફટકાર્યા હતા. તે ટેસ્ટ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટર્સની યાદીમાં બીજા ક્રમે છે. જો તે ટેસ્ટમાં ત્રણ વધુ છગ્ગા ફટકારતો તો તે પ્રથમ ક્રમે પહોંચ્યો હોત. વિરેન્દ્ર સેહવાગે ટીમ ઈન્ડિયા તરફથી ૯૦ છગ્ગા ફટકારી ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી છે.