Last Updated on by Sampurna Samachar
સંજય રાઉતે રાહુલ ગાંધીની ભૂમિકાને નિર્ણાયક ગણાવી
સરકાર મોદીની પણ સિસ્ટમ રાહુલ ગાંધીની ચાલી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જાતિગત વસ્તી ગણતરીને લઈને રાજકીય નિવેદનબાજી ફરી એકવાર તેજ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાતિ વસ્તી ગણતરી અંગે લેવામાં આવેલા તાજેતરના ર્નિણય પર પ્રતિક્રિયા આપતા, શિવસેના (ઉદ્ધવ જૂથ) ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે રાહુલ ગાંધીની ભૂમિકાને નિર્ણાયક ગણાવી અને કહ્યું કે, “સરકાર મોદીની હોઈ શકે છે, પરંતુ હાલમાં સિસ્ટમ રાહુલની ચાલી રહી છે.”
રાઉતે કહ્યું કે, રાહુલ ગાંધી છેલ્લા દસ વર્ષથી સતત જાતિગત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છે, જેની માંગ તેમણે સંસદથી શેરીઓ સુધી ઉઠાવી હતી. તેમણે યાદ અપાવ્યું કે, સંસદમાં રાહુલ ગાંધીના ભાષણોમાં સામાજિક ન્યાય અને પ્રતિનિધિત્વનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવ્યો છે.
આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા
સંજય રાઉતે ભાજપના નેતાઓ પર આ મુદ્દે બેવડું ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ નેતા અનુરાગ ઠાકુરે સંસદમાં રાહુલ ગાંધી વિશે કરેલી અપમાનજનક ટિપ્પણી એ વાતનો પુરાવો છે કે, ભાજપે જાતિગત વસ્તી ગણતરીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.
રાઉતે કટાક્ષમાં પૂછ્યું કે, “જ્યારે આ મુદ્દો આટલા વર્ષોથી ઉઠાવવામાં આવી રહ્યો છે, ત્યારે શું સરકારે કાનમાં રૂ ભર્યું હતું?” તેમણે એમ પણ કહ્યું કે, જે આજે સરકારે વસ્તી ગણતરી અંગે કોઈ ર્નિણય લીધો છે, તો તે બહુજન, દલિત, ઓબીસી અને દલિત વર્ગોનો વિજય છે – પરંતુ આ જનજાગૃતિનો શ્રેય દેશના લોકો અને રાહુલ ગાંધીને આપવો જોઈએ.
સંજય રાઉતે આ ર્નિણયના સમય પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશ પહલગામ હુમલા જેવી મોટી દુર્ઘટનાનો સામનો કરી રહ્યો છે અને શક્ય છે કે, સરકારે ધ્યાન ભટકાવવાની રણનીતિ તરીકે આ મુદ્દાને આગળ ધપાવ્યો હોય શકે છે.
તેમણે કહ્યું કે, જો સરકાર ખરેખર સામાજિક ન્યાયની ચિંતા કરતી હોત, તો તેણે અત્યાર સુધીમાં જાતિગત વસ્તી ગણતરી પૂર્ણ કરી લીધી હોત. પરંતુ આ મુદ્દો હવે રાજકીય દબાણ હેઠળ આવી ગયો હોવાથી, તેને મૂલ્યાંકન કરવાનો અને ક્રેડિટનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી.