Last Updated on by Sampurna Samachar
માર્ગો, સામાન્ય જન-જીવન, શાળા, વાહનો અને ઘરોને ટાર્ગેટ બનાવ્યા
મિસાઇલ હુમલામાં ૨૧ લોકો માર્યા ગયા હોવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા-યુક્રેન યુદ્ધમાં સીઝફાયરની મંત્રણાઓ વચ્ચે હુમલાઓ સતત વધી રહ્યા છે. રશિયાએ ફરી યુક્રેનના સુમીમાં બેલિસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો છે. જેમાં ઓછામાં ઓછા ૨૧ લોકો માર્યા ગયા હોવાની શક્યતા છે. રશિયન મિસાઈલ્સે શહેરના માર્ગો, સામાન્ય જન-જીવન, શાળા, વાહનો અને ઘરોને ટાર્ગેટ બનાવ્યા છે.
આ હુમલો યુક્રેનના સુમી શહેરમાં થયો હતો. જેમાં શાળા પણ બળીને ખાખ થઈ હતી. આ હુમલા દરમિયાન લોકો ચર્ચ જઈ રહ્યા હતાં. એકબાજુ અમેરિકા રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ માટે વિવિધ પ્રસ્તાવ રજૂ કરી રહ્યું છે. જેમાં તેણે યુક્રેનના બે ભાગલાં પાડવાનો ર્નિણય લીધો છે. બીજી તરફ રશિયા યુક્રેન પર સતત હુમલાઓ કરી તેના પર હાવિ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં કરાયેલા હુમલામાં યુક્રેનના ૨૧ નાગરિકો માર્યા ગયા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
રશિયા વાસ્તવમાં આતંક ફેલાવે છે
યુક્રેન સરકાર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. યુક્રેને નિવેદન આપ્યું છે કે, વિશ્વએ તેને આકરો જવાબ આપવો જોઈએ. અમેરિકા, યુરોપ અને વિશ્વનો પ્રત્યેક દેશ કે જે આ યુદ્ધ અને હત્યાઓનો અંત લાવવા માગે છે, તેઓએ રશિયાને આકરો જવાબ આપવો જોઈએ. રશિયા વાસ્તવમાં આતંક ફેલાવે છે અને યુદ્ધ બંધ કરવા માંગતું નથી. રશિયા પર દબાણ વિના શાંતિ અસંભવ છે. ક્યારેય રશિયા બેલિસ્ટિક મિસાઈલ તો ક્યારેક ડ્રોન હુમલા મારફત આતંક ફેલાવી રહ્યું છે.