Last Updated on by Sampurna Samachar
પક્ષ અને વિપક્ષ આમને સામને કરી રહ્યા છે પ્રહાર
ભાજપ પર મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવતા હોવાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાગપુરમાં ભડકી ઉઠેલી હિંસામાં અત્યારસુધી ૫૦ લોકોની ધરપકડ થઈ છે. ૧૦૦ થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને પૂર્વ આયોજિત ગણાવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પ્લાનિંગ હેઠળ આ હિંસાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે. તેમજ આ ષડયંત્રમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ નાગપુર હિંસા મામલે વિપક્ષ નેતાઓએ સરકારને દોષિત ઠેરવી છે. તેમણે ભાજપ પર મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માંગતા હોવાનો આરોપ પણ મૂક્યો છે.
નાગપુર હિંસા પર શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, મારે જાણવું છે કે, જ્યારે અફવાઓ ફેલાઈ રહી હતી ત્યારે, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઈ પ્રતિક્રિયા કેમ ન આપવામાં આવી. મુખ્યમંત્રીના શહેરમાં જ આ પ્રકારની ઘટના કેવી રીતે બની શકે. આ પ્રકારની કોઈપણ ઘટના બને તો પહેલો મેસેજ CMO , ગૃહ વિભાગને મળે છે. આ બંને વિભાગ મુખ્યમંત્રી પાસે છે. તો તેમને કેમ આ ઘટના અંગે ખબર ન પડી. મારો અંદાજ છે કે, ભાજપ મહારાષ્ટ્રને મણિપુર બનાવવા માંગે છે.
ભાજપના ધારાસભ્યએ અબુ આઝમીને જવાબદાર ઠેરવ્યા
નાગપુર હિંસા પર શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર મોટો આરોપ મૂક્યો હતો કે, નાગપુરમાં હિંસા પાછળ કોઈ કારણ જ નથી. અહીં જ આરએસએસનું હેડક્વાર્ટર છે. દેવેન્દ્ર ફડણવીસનો મત વિસ્તાર પણ છે. અહીં હિંસા ફેલાવવાની હિંમત કોઈ ન કરી શકે. પોતાના લોકો દ્વારા જ હુમલો કરાવી હિન્દુઓને ડરાવી ધમકાવી પોતાની સાઇડ કરવાની આ નવી પેટર્ન છે.
ભાજપના ધારાસભ્ય રામ કદમે આ ઘટના માટે અબુ આઝમીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારને બદનામ કરવા માટે આ પૂર્વ આયોજિત હિંસા હતી. જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી, ત્યારે એએસઆઇએ ઔરંગઝેબની કબરની રક્ષા કરી હતી.
નાગપુર હિંસા પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે, સૌથી ભડકાઉ ભાષણો સરકાર તરફથી જ આવી રહ્યા છે. તેમને પોતાની જવાબદારીનું ભાન નથી. મહારાષ્ટ્રમાં એક ખાસ બાદશાહનું પૂતળું સળગાવી દેવામાં આવ્યું, તેના પર કોઈ પ્રતિક્રિયા ન થતાં કપડાં પર કુરાનની આયાત લખી અને તેને સળગાવી દીધું. આ ઘટના મુદ્દે હિન્દુ અને મુસ્લિમોએ ડીસીપી સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી નહીં.