Last Updated on by Sampurna Samachar
ભારતીય ક્રિકેટમાં તેનું મહત્વપૂર્ણ યોગદાન
અત્યારસુધી માત્ર એક જ ટેસ્ટ ક્રિકેટરને મળ્યું સન્માન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ અનેક દિગ્ગજ ખેલાડીઓ અને ચાહકો દ્વારા અનેક પ્રતિક્રિયાઓ આવી છે. જ્યાં હાલમાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુરેશ રૈનાએ મોટું નિવેદન આપી કોહલી માટે ભારત રત્નની માંગ કરી છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના ઈચ્છે છે કે, વિરાટ કોહલીને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે. જ્યાં શરૂ થયેલી IPL મેચમાં કોમેન્ટ્રી કરતી વખતે રૈનાએ પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી હતી. સુરેશ રૈનાએ કહ્યું કે, કોહલી જેવા ઉત્કૃષ્ટ ખેલાડીને ભારતીય ક્રિકેટમાં નોંધનીય યોગદાન બદલ સર્વોચ્ચ સન્માન મળવુ જોઈએ. વિરાટ કોહલી (KOHLI) ને ભારતીય ક્રિકેટમાં ઉમદા યોગદાન બદલ ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવો જોઈએ.
વિરાટ કોહલીએ કારકિર્દીમાં અનેક એવોર્ડ હાંસલ કર્યા
છેલ્લા ૧૨ મહિનામાં કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટના બે ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. અગાઉ ૨૦૨૪માં બાર્બાડોસમાં T૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ કોહલીએ T૨૦ માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. દેશના ઈતિહાસમાં અત્યારસુધી માત્ર એક જ ટેસ્ટ ક્રિકેટરને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. સચિન તેંદુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાના એક વર્ષ બાદ ૨૦૧૪ માં સચિનને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી બિરદાવવામાં આવ્યો હતો. તેંદુલકર વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો બેટર છે.
વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં અનેક એવોર્ડ હાંસલ કર્યા છે. ૨૦૧૩માં અર્જુન એવોર્ડ, ૨૦૧૭માં પદ્મશ્રી અને ૨૦૧૮ માં ભારતનું સર્વોચ્ચ ખેલ સન્માન ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે. પરંતુ હવે સુરેશ રૈના ઈચ્છે છે કે, સરકાર કોહલીની દોઢ દાયકા સુધી ભારતીય ક્રિકેટ માટે આપેલી સેવાઓને બિરદાવતા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળે.