Last Updated on by Sampurna Samachar
જમ્મુમાં શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દેવાઇ
બાડમેર અને જોધપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
‘ઓપરેશન સિંદૂર’ પછી જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ભારત-પાક સરહદ પર વધારાની સાવધાની રાખવામાં આવી રહી છે. બોર્ડર પારથી થઈ રહેલા ગોળીબારને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરની બોર્ડર આવેલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. બોર્ડરને અડીને આવેલા ગામડાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશની કાશ્મીર ખીણને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
રાજસ્થાનમાં સરહદે આવેલા બાડમેર અને જોધપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ થયું હતું. બાડમેર, જેસલમેર અને શ્રીગંગાનગરમાં શાળાઓને આગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાન સરહદ નજીકના પોતાના ગામડાઓ ખાલી કરાવી રહ્યું છે. આને એક મોટા ષડયંત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. જેને લઈને, શ્રીગંગાનગરમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. સાવચેતીના પગલા તરીકે અહીં શાળાઓ, કોલેજો અને તમામ પ્રકારની સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.
સરહદ પરના ગામડાઓને એલર્ટ કરાયા
જમ્મુ અને કાશ્મીરના સાંબા અને કઠુઆ જિલ્લા ઉપરાંત, જમ્મુ જિલ્લાના આરએસપુરા વિસ્તારમાં આગામી ૭૨ કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ હેઠળ બોર્ડર ઉપર આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને શક્ય તેટલી વહેલી તકે ગામડાઓ ખાલી કરવા કહેવામાં આવ્યું છે. પંજાબના બોર્ડર પર આવેલા જિલ્લાઓના ગામડાઓને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ફિરોઝપુર જિલ્લાના કેટલાક સરહદી ગામોના લોકોએ સલામત સ્થળોએ આશ્રય લેવાનું શરૂ કરી દીધું છે.