Last Updated on by Sampurna Samachar
પાણી રોકવુ એ યુદ્ધ સમાન કાર્યવાહી ગણાવતુ પાકિસ્તાન
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન નારાજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલો થયા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરી છે. ભારતે ૧૯૬૦ સિંધુ જળ સમજૂતી ખતમ કરવા સહિત અનેક પગલા ભર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.
ભારતના ર્નિણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી, જેમાં તેમણે ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં શાહબાજ સરકારે કહ્યું કે, પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી છે.
ભારતનુ આ પગલુ ઉતાવળમાં લીધેલો નિર્ણય : પાકિસ્તાન
પાકિસ્તાનના વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેઓએ ભારત આવતી અને જતી કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. શાહબાઝ સરકારના જણાવ્યા અનુસાર, હવે ભારતીય ફ્લાઇટ્સને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના અને રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવાના ભારતના ર્નિણયથી પાકિસ્તાન નારાજ છે. આ ઉપરાંત સરકારે એમ પણ કહ્યું છે કે, પાણી રોકવું એ યુદ્ધ જેવી કાર્યવાહી છે.
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારે ભારતના આ પગલાને ઉતાવળમાં લેવાયેલો ર્નિણય ગણાવ્યો હતો. પહેલગામ હુમલા પછી જેદ્દાહથી તાત્કાલિક પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું નહીં અને અન્ય રસ્તેથી પસાર થયું હતું. આ પહેલા જેદ્દાહ જતી વખતે વડાપ્રધાન મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું હતું.
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ લોકોના મોત અને ૧૭ લોકોને ઈજા થઈ હતી. આ કાયરતાપૂર્વકની અને ભયાનક ઘટના બાદ દેશભરમાં રોષ ભભૂક્યો હતો. એટલું જ નહીં વિદેશમાં પણ હુમલાના પડઘા પડ્યા હતા. હુમલા બાદ સુરક્ષા દળો અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
બીજીતરફ કેન્દ્ર સરકારે સિંધુ જળ સમજૂતી સહિતના મોટા મોટા ર્નિણય લઈને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે. પહલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.