Last Updated on by Sampurna Samachar
ગુરુદ્વારામાં કરાયેલા હુમલામાં નિર્દોષ શીખોની હત્યા કરાઇ
દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર ગોળીબાર સતત ચાલુ છે. ભારતીય સેનાએ અનેક મિસાઇલો છોડ્યા બાદ જેના પછી પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ત્યારથી, પાકિસ્તાની સેના દ્વારા ભારત-પાકિસ્તાન સરહદ પર ગોળીબાર અને તોપમારો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ગુરુદ્વારા પર હુમલો કર્યો હોવાની માહિતી મળી હતી. ત્યારે આ અંગે દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું, “ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા પૂંછ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાની હું સખત નિંદા કરું છું.
પાકિસ્તાન એટલું કાયર છે કે તે આપણા નાગરિકો પર હુમલો કરી રહ્યું છે. જ્યારે મેં ગુરુદ્વારાના વડા સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે તે બધા આ હુમલાનો બદલો લેવા માટે ઉત્સુક છે. હું પાકિસ્તાનના દુષ્ટોને કહેવા માંગુ છું કે મારી ભારત સરકાર આ દુષ્ટ કૃત્યનો બદલો લેશે.”
૨૫ હજાર શીખ પાકિસ્તાન સામે ઉભા છે
મનજિંદર સિંહ સિરસાએ કહ્યું, “જમ્મુમાં નાગરિકો અને ગુરુદ્વારાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં સવારે ૭ વાગ્યે, ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો અને પાકિસ્તાની સેના દ્વારા નિર્દોષ શીખોની હત્યા કરવામાં આવી હતી. પરંતુ ત્યાં ૨૫ હજાર શીખ છે જે પાકિસ્તાન સામે મજબૂતીથી ઉભા છે.
વડાપ્રધાન ચોક્કસપણે માર્યા ગયેલા નિર્દોષ લોકોનો બદલો લેશે. આ બિલકુલ ૨૨ એપ્રિલે પહેલગામમાં માર્યા ગયેલા નિર્દોષ પ્રવાસીઓ જેવું છે. ભારતીય સેના અને પાકિસ્તાની સેના વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં.” સર્વપક્ષીય બેઠક અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી શેરી રાજકારણથી આગળ વધી ગઈ છે. કોંગ્રેસે સસ્તી રાજનીતિનો આશરો લીધો છે.