Last Updated on by Sampurna Samachar
છેલ્લા ૮ મહિનાથી મોલ તરફથી પેમેન્ટ આપવામાં આવ્યું નથી
વેપારીઓએ નાણાં પરત મેળવવા સરકાર અને પ્રશાસન પાસે ન્યાયની માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં આવેલા ઓશિયા મોલના માલિકો સામે કરોડો રૂપિયાની છેતરપિંડીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા ઉર્ફે ધીરજ ચોપડા અને તેમની પત્ની કવિતા ચોપરાએ વેપારીઓ પાસેથી ઉધારમાં માલ લઈને આશરે ૨૫૦ કરોડથી વધુની રકમ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયાનો આરોપ લાગ્યો છે.

આ મામલે છેલ્લા ઘણા મહિનાથી પેમેન્ટ ન મળતાં અને આપેલા ચેકો બેંકમાં બાઉન્સ થતાં આખરે ૨૬૭ જેટલા વેપારીઓએ પોલીસ અને સંબંધિત તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. વેપારીઓ હવે પોતાના ફસાયેલા નાણાં પરત મેળવવા સરકાર અને પ્રશાસન પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.
નાના અને મધ્યમ વર્ગના વેપારીઓમાં ભારે રોષ
મળતી માહિતી મુજબ, ઓશિયા મોલમાં વિવિધ પ્રોડક્ટ્સ સપ્લાય કરતા વેપારીઓ લાંબા સમયથી નિયમિત રીતે માલ આપતા હતા. જોકે, છેલ્લા ૮ મહિનાથી મોલ તરફથી પેમેન્ટ આપવામાં આવતું ન હતું. વેપારીઓએ માલિકોનો સંપર્ક કરતા તેમને થોડા સમયમાં તમામ ચુકવણી કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી.
ખાતરીના ભાગરૂપે વેપારીઓને એડવાન્સ ચેક પણ આપવામાં આવ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી નાણાં ન મળતાં વેપારીઓએ ચેક બેંકમાં જમા કરાવતાં એક પછી એક તમામ ચેક બાઉન્સ થયા હતા. જેના કારણે સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.
વેપારીઓનો આક્ષેપ છે કે, છેતરપિંડી સામે આવતાં જ મોલ ના માલિકો અને સંબંધિત મેનેજરો સંપર્કવિહોણા બની ગયા છે. તેમના ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યા છે. વધુમાં, ઓશિયા મોલ નો મામલો હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો હોવાથી વેપારીઓની ચિંતા વધી ગઈ છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક નાના વેપારીઓએ હજુ સુધી સત્તાવાર ક્લેમ પણ દાખલ કર્યો નથી. અનેક વેપારીઓનું મોટું રોકાણ ફસાઈ જતાં તેમની આર્થિક સ્થિતિ ખરાબ બની ગઈ છે. ભોગ બનનાર વેપારી વિવેકભાઈએ જણાવ્યું કે, “અમે ક્રેડિટ પર માલ સપ્લાય કરતા હતા. દ્ગઝ્રન્માં મામલો પહોંચતાં અમારા ૧.૫૭ કરોડના ચેક રિટર્ન થયા છે.
હવે માલિકો સાથે કોઈ સંપર્ક થઈ શકતો નથી.”વેપારી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, “હું મોલમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓ સપ્લાય કરતો હતો. અમે કંપનીઓને એડવાન્સ પેમેન્ટ કરીને માલ ખરીદ્યો હતો, જેના કારણે આખું રોકાણ ફસાઈ ગયું છે.
”જ્યારે વેપારી નરેન્દ્ર તિવારી એ જણાવ્યું કે, “મને આપવામાં આવેલા ચેક પર બેંકમાં જમા કરાવતા પહેલાં જ સ્ટોપ પેમેન્ટ મૂકી દેવામાં આવ્યું હતું.” સમગ્ર મામલે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ પોલીસ પ્રશાસનને આ મામલે કડક કાર્યવાહી કરવા અને સરકારને તેમના ફસાયેલા કરોડો રૂપિયા પરત અપાવવા માટે ઝડપી પગલાં લેવા માંગ કરી છે.