Last Updated on by Sampurna Samachar
બાજવાનું પાકિસ્તાન સાથે કનેક્શન તેમ ભગવંત માને કહ્યુ
કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ બાજવાએ મીડિયા સાથે કરી વાતચીત
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબમાં વિપક્ષ નેતા પ્રતાપસિંહ બાજવા પોતાના વિવાદાસ્પદ નિવેદનથી ફસાયા છે. તેમના ઘરે પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમ પૂછપરછ કરવા પહોંચી હતી. તેમજ મુખ્યમંત્રીએ પણ બાજવાને આડે હાથ લીધા હતાં. તેમણે પંજાબ (PUNJAB) માં થઈ રહેલા બોમ્બ બ્લાસ્ટ વિશે સંવેદનશીલ નિવેદન આપ્યું હતું કે, ‘પંજાબમાં ૫૦ બોમ્બ આવ્યા છે, અને તેમાંથી ૧૮ ફાટી ગયા છે, જ્યારે ૩૨ ફૂટવાના બાકી છે.
પંજાબમાં બોમ્બ ઘૂસ્યા હોવાનું નિવેદન આપ્યા બાદ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમ વધુ માહિતી મેળવવા બાજવાના નિવાસ સ્થાને પહોંચી હતી. જોકે, બાજવાએ આ અંગે કોઈ પણ માહિતી આપવાનો ઈનકાર કરી દીધો છે.
પંજાબમાં આતંક ફેલાવવા માંગે છે કે શું ?
ઉલ્લેખનીય છે કે પંજાબમાં ૧૮ સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. હાલમાં જ ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી મનોરંજન કાલિયાના ઘરે બોમ્બ વિસ્ફોટ થયો હતો. વધુ પડતાં બોમ્બ બ્લાસ્ટ પોલીસ સ્ટેશનમાં થયા હતાં. કાઉન્ટર ઈન્ટેલિજન્સના અધિકારીઓએ જણાવ્યું કે, બાજવા તેમની સાથે સહયોગ કરી રહ્યા નથી. બાજવાનું કહેવું છે કે, મારી પાસે મારા પોતાના સૂત્રો છે, હું તેમના નામ જાહેર કરીશ નહીં.
કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ બાજવાએ બોમ્બ અંગેની માહિતી એક મીડિયા સાથે વાતચીત કરતી વખતે જાહેર કરી હતી કે, પંજાબમાં અનેક બોમ્બ આવ્યા છે. જેમાંથી ૧૮ બોમ્બ બ્લાસ્ટ થી ચૂક્યા છે. જ્યારે ૩૦-૩૨ બોમ્બનો ઉપયોગ થવાનો બાકી છે. હું એક મહત્ત્વના પદ પર છું, તેથી મારા સૂત્રે મને સાવચેત રહેવા સલાહ આપી છે.
બાજવાએ જણાવ્યું હતું કે, ‘હું કાઉન્ટર ઈન્ટેલિજન્સને સંપૂર્ણપણે સહયોગ આપી રહ્યો છું. અમારૂ કામ લોકોને બચાવવાનું અને પંજાબ સરકારની મદદ કરવાનું છે. મેં ટીમને જણાવ્યું છે કે, હું મારા સૂત્રોનો ખુલાસો નહીં કરૂ, પણ મને જાણ હોય તેવી તમામ માહિતી જરૂરથી આપી છે.‘
મુખ્યમંત્રી ભગવંત માને બાજવાના દાવા અંગે જણાવ્યું કે, પ્રતાપસિંહ બાજવા પંજાબમાં ૫૦ બોમ્બ હોવાની વાત કરી રહ્યા છે. આ માહિતી પોલીસ કે ઈન્ટેલિજન્સ ટીમ પાસે પણ નથી. જો તેમની પાસે બોમ્બ સંબંધિત કોઈપણ માહિતી હોય તો તે ઈન્ટેલિજન્સ ટીમને આપે.
વધુમાં માને કટાક્ષ પણ કર્યો હતો કે, બાજવાનું પાકિસ્તાન સાથે કનેક્શન છે. ત્યાંના આતંકવાદી તેમને સીધો ફોન કરીને તો બોમ્બની માહિતી આપી રહ્યા નથી ને… આ માહિતી ન તો ઈન્ટેલિજન્સ પાસે છે, ન તો કેન્દ્ર સરકાર પાસે. પરંતુ વિપક્ષના આટલા મોટા નેતા પાસે આ માહિતી હતી, તો તેમની જવાબદારી હતી કે, તેઓ પંજાબ પોલીસને બોમ્બ ક્યાં છે, તેના વિશે જણાવે. શું તેઓ બોમ્બ બ્લાસ્ટ થવાની રાહ જોઈ રહ્યા હતા, લોકોના મોતની રાહ જોઈ રહ્યા હતા. અને જો તેમનું નિવેદન ખોટું છે તો તેવો પોતે પંજાબમાં આતંક ફેલાવવા માગે છે કે શું ?