Last Updated on by Sampurna Samachar
સર્વપક્ષીય બેઠક બાદ વિદેશમંત્રીનુ નિવેદન
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ ભારત આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સર્વપક્ષીય બેઠકમાંથી બહાર આવતા જ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જે નિવેદન આપ્યું તેનાથી પાકિસ્તાનની ચિંતા વધારી દીધી હશે. રિજિજુએ કહ્યું છે કે, ‘ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.‘ તેના થોડા સમય પછી ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો આપણા પર કોઈપણ પ્રકારનો લશ્કરી હુમલો થાય છે તો કોઈ ગેરસમજ કે શંકામાં ન રહો. આનો ખૂબ જ કડક જવાબ આપવામાં આવશે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીની સામે કહ્યું કે, તમે એવા સમયે ભારત આવ્યા છો. જ્યારે અમે ૨૨ એપ્રિલે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા બર્બર હુમલાનો જવાબ આપી રહ્યા છીએ. આ હુમલાએ અમને ૭ મેના રોજ સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને જવાબ આપવા માટે મજબૂર કર્યા છે.
અમારો ઈરાદો પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો નથી
જયશંકરનું ઈરાની સમકક્ષને આ ખુલ્લેઆમ માઈકની સામે જાણકારી આપવી મહત્વપૂર્ણ છે. વિદેશ મંત્રીએ ઈરાનની સાથે-સાથે પાકિસ્તાન અને તેના સહાનુભૂતિ ધરાવતા દેશોને પણ સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, અમારો પ્રતિક્રિયા ટાર્ગેટેડ અને માપેલ હતો. અમારો ઈરાદો પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો નથી. આ પછી જયશંકરે કહ્યું કે, જો આપણા પર લશ્કરી હુમલો થાય છે, તો કોઈને શંકા ન હોવી જોઈએ કે તેનો ખૂબ જ કડક જવાબ આપવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રીએ સૈયદ અબ્બાસને કહ્યું કે, એક પાડોશી અને નજીકના ભાગીદાર તરીકે આ મહત્વપૂર્ણ છે કે તમને પરિસ્થિતિની સારી સમજ હોય.
આ પહેલા કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર વિશે જાણકારી આપવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઇ હતી. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક અંજામ આપીને પાકિસ્તાન અને POK માં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. ભારતીય સેનાએ જણાવ્યું કે, આતંકવાદીઓના આ તમામ ઠેકાણાઓને તબાહ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર સટીક હુમલા કરવામાં આવ્યા હતા. લગભગ ૧૦૦ આતંકવાદીઓ માર્યા ગયા. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ હોવાથી માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા અંગે કોઈ ચોક્કસ માહિતી નથી.