Last Updated on by Sampurna Samachar
નાની રકમની નોટની ઉપલબ્ધતા વધારવા માટે લીધો નિર્ણય
બેન્કો અને વ્હાઈટ લેબલ ATM ઓપરેટર્સને આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેન્ક ATM માંથી પૈસા ઉપાડતી વખતે મોટાભાગે રૂ. ૫૦૦ ની જ નોટ નીકળે છે. ૧૦૦-૨૦૦ ની નોટ ભાગ્યે જ જોવા મળતી હોય છે. પરંતુ હવે આમ નહીં થાય. RBI એ મહત્ત્વનો ર્નિણય લેતાં તમામ બેન્કોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, ATM માંથી રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ ની નોટ પણ નીકળે.
RBI એ બેન્કોને નિર્દેશ આપ્યા હતાં કે, સામાન્ય લોકો માટે નાની રકમની નોટની ઉપલબ્ધતા વધારવા માટે આ પગલું લેવું જરૂરી છે. બેન્કોએ ATM માંથી આ મૂલ્યના કરન્સી નોટ પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે તેની ખાતરી કરવી. બેન્કો અને વ્હાઈટ લેબલ ATM ઓપરેટર્સે આ નિર્દેશને તબક્કાવાર લાગુ કરવા કહ્યું છે.
ATM માંથી રોકડ ઉપાડના નિયમો બદલાયા
ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ લેબલ ATM સરકારી અને પ્રાઈવેટ બેન્કોના ATM ની જેમ કામ કરે છે. તેને ખાનગી અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ ઈન્સ્ટોલ કરે છે. તેમાં વિવિધ બેન્કોના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મારફત રોકડ ઉપાડ, બેલેન્સ ચેક સહિતની તમામ સુવિધાઓ મળે છે.
RBI એ સર્ક્યુલરમાં જણાવ્યુ છે કે, મોટાભાગે ATM માંથી રોકડ ઉપાડતી વખતે રૂ. ૫૦૦ ના મૂલ્યની નોટ જ નીકળે છે. આથી નાના અને સામાન્ય નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખતાં તમામ બેન્કો અને વ્હાઈટ લેબલ ATM ઓપરેટર્સને ખાતરી કરવા આદેશ છે કે, તેમના ATM માંથી નિયમિત ધોરણે રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ની નોટ નીકળે.
૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી તમામ ATM માંથી ૭૫ ટકા ATM માંથી ઓછામાં ઓછા એક કેસેટમાં રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ની નોટ નીકળવી જોઈએ. ત્યારબાદ આગામી તબક્કામાં ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી ૯૦ ટકા ATM માંથી ઓછામાં ઓછા એક કેસેટમાંથી રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ના મૂલ્યની નોટ નીકળવી જોઈએ.
RBI એ અગાઉ જારી કરેલા સર્ક્યુલરમાં ૧ મે, ૨૦૨૫ થી ATM માંથી રોકડ ઉપાડના નિયમો પણ બદલ્યા છે. જેમાં હોમ બેન્ક નેટવર્ક સિવાયના ATM માંથી ઉપાડ, બેલેન્સ ચેક માટે યુઝરે વધુ ચાર્જ ચૂકવવો પડશે. ૧ મેથી અન્ય બેન્કના ATM માંથી ઉપાડ પર રૂ. ૧૯ અને બેલેન્સ ચેક કરવા પર રૂ. ૭ પેટે ચાર્જ ચૂકવવો પડશે. જે પહેલાં ક્રમશ: રૂ. ૧૭ અને રૂ. ૬ હતો.