Last Updated on by Sampurna Samachar
ટિકિટ રદ કરવા અને યાત્રાની તારીખ બદલવા પર કોઇ વધારો નહીં
મૃતકોના પાર્થિવદેહને વતન સુધી પહોંચાડવા કરશે મદદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારની સૂચનાથી નાગરિક ઉડ્ડયન વિભાગે DGCA એ એક અત્યંત સંવેદનશીલ પગલું લીધું છે. DGCA એ શ્રીનગર માટે ફ્લાઇટ્સનું ભાડું ન વધારવા તેમજ કેન્સલેશન ચાર્જ પણ માફ કરવા એરલાઇન્સને નિર્દેશ આપ્યા છે.
મળતા અહેવાલ અનુસાર, પહેલગામમાં થયેલા ઈસ્લામિક આતંકવાદી હુમલા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને કડક નિર્દેશ જારી કર્યા છે કે શ્રીનગર રૂટ પર ફ્લાઇટ્સના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો ન થવો જોઈએ.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ બેઠક યોજી
દરમિયાન, એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ જણાવ્યું છે કે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. સાથે જ ટિકિટ રદ કરવા અને યાત્રાની તારીખ બદલવા પર પણ કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ તમામ એરલાઇન કંપનીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી અને શ્રીનગર રૂટ પર અચાનક ભાડું વધારવા સામે કડક એડવાઇઝરી જારી કરી છે. તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું કે તમામ એરલાઇન્સ સામાન્ય ભાડું સ્તર જાળવી રાખવામાં આવે.
કેન્દ્રીય મંત્રીએ એરલાઇન્સને નિર્દેશ આપ્યા છે કે તેઓ મૃતકોના પાર્થિવ શરીરને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવામાં રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટ સાથે મળીને સંપૂર્ણ સહયોગ કરે. એર ઇન્ડિયા: શ્રીનગરથી દિલ્હી માટે સવારે ૧૧:૩૦ વાગ્યે અને મુંબઈ માટે બપોરે ૧૨:૦૦ વાગ્યે ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. એર ઇન્ડિયાએ ૩૦ એપ્રિલ સુધીની બુકિંગ્સ પર મફત કેન્સલેશન અને રીશેડ્યૂલિંગની સુવિધા આપી છે.
ઇન્ડિગો: ૨૩ એપ્રિલે દિલ્હી અને મુંબઈથી શ્રીનગર માટે બે વિશેષ ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. ઇન્ડિગો શ્રીનગરને દરરોજ ૨૦ ફ્લાઇટ્સ સાથે જાેડે છે અને ૨૨ એપ્રિલ સુધી બુક થયેલી યાત્રાઓ માટે ૩૦ એપ્રિલ સુધી મફત ફેરફાર અને રદ્દ કરવાની સુવિધા આપી રહ્યું છે.
આકાસ એર: ૨૩થી ૨૯ એપ્રિલ સુધી શ્રીનગર જતી-આવતી તમામ ફ્લાઇટ્સ માટે યાત્રીઓને મફત કેન્સલેશન અને પ્રથમ શેડ્યૂલ ફેરફાર મફત આપવામાં આવશે.
એર ઇન્ડિયા એક્સપ્રેસ: શ્રીનગરથી બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ, જમ્મુ અને કોલકાતા માટે ૮૦ સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવે છે. ૩૦ એપ્રિલ સુધી યાત્રીઓને મફત રદ્દ કરી આપશે અને તારીખ બદલવાની સુવિધા આપવામાં આવી રહી છે.