Last Updated on by Sampurna Samachar
રાહુલ અને સોનિયા ગાંધીને કોર્ટમાં હાજર રહેવુ પડશે
જવાહરલાલ નેહરુ એ ૧૯૩૮ માં આ અખબારની કરી હતી સ્થાપના
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત PMLA કેસમાં ED ની ચાર્જશીટ પર ધ્યાન આપ્યું છે. કોર્ટે ED ની ચાર્જશીટ સંબંધિત કેસની સુનાવણી માટે આરોપી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકોને નોટિસ જાહેર કરી છે. આ કેસમાં આગામી સુનાવણીની તારીખે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય આરોપીઓએ કોર્ટમાં હાજર રહેવું પડશે.
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જે કેસમાં કોર્ટમાં હાજર રહેવાની નોટિસ મળી છે, તે નેશનલ હેરાલ્ડ અખબાર અને તેની મૂળ કંપની AJL એટલે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે સંબંધિત નાણાકીય ગેરરીતિઓ પર કેન્દ્રિત છે. આમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આરોપી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ, રાઉઝ એવન્યુ કોર્ટે ૨૫ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ED ચાર્જશીટની સુનાવણી કરી હતી, પરંતુ દસ્તાવેજોના અભાવે નોટિસ જાહેર કરી ન હતી.
આ કેસમાં અન્ય બે આરોપીઓમાં કોંગી નેતાનો સમાવેશ
ED એ ૯ એપ્રિલ ૨૦૨૫ ના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ ૩ અને ૪ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. આમાં સોનિયા ગાંધીને આરોપી નંબર ૧ અને રાહુલ ગાંધીને આરોપી નંબર ૨ બનાવવામાં આવ્યા છે. અન્ય આરોપીઓમાં કોંગ્રેસના નેતાઓ સેમ પિત્રોડા અને સુમન દુબેનો સમાવેશ થાય છે.
કોર્ટે ED ને વધુ દસ્તાવેજો રજૂ કરવા કહ્યું હતું. જે બાદ આ નોટિસ જાહેર કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે, આ આખો મામલો શું છે. નેશનલ હેરાલ્ડ એક ઐતિહાસિક અખબાર છે જેની સ્થાપના જવાહરલાલ નેહરુ દ્વારા ૧૯૩૮ માં કરવામાં આવી હતી.
ED નો આરોપ છે કે, સોનિયા અને રાહુલ ગાંધીએ યંગ ઈન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા AJL ની ૨૦૦૦ કરોડ રૂપિયાની મિલકતો માત્ર ૫૦ લાખ રૂપિયામાં મેળવી હતી. ED નો આરોપ છે કે, આ વ્યવહાર મની લોન્ડરિંગનો એક ભાગ હતો. આમાં ૯૯ ટકા શેર યંગ ઈન્ડિયન લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. યંગ ઈન્ડિયન લિમિટેડમાં સોનિયા અને રાહુલ ગાંધીનો ૩૮-૩૮% હિસ્સો છે.