Last Updated on by Sampurna Samachar
PMO માં નાયબ સચિવ તરીકે કરી ચૂક્યા છે કામ
નિધિ તિવારી ૨૦૧૪ની બેચના વિદેશ સેવા અધિકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નિધિ તિવારીની નિયુક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે થઈ છે. મૂળ વારાસણીનાં આ IFS અધિકારીની આ બઢતી અંગે પર્સોનલ અને તાલીમ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નિધિ તિવારી ૨૦૧૪ની બેચના વિદેશ સેવા અધિકારી છે. જોકે તેઓ વડાપ્રધાન કચેરી (PMO) માં નાયબ સચિવ તરીકે કામ કરી ચૂક્યાં છે. હવે તેમને વડાપ્રધાનના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવાનો ર્નિણય ૨૯ માર્ચે લેવામાં આવ્યો હતો.
પર્સોનલ વિભાગની આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, IFS અધિકારી નિધિ તિવારી, જેઓ વડાપ્રધાન કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે કાર્યરત છે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકેની નિયુક્તિને મંજૂરી આપવામાં આવી છે.
અંગત સચિવ તરીકે રહેશે વિશિષ્ટ કામગીરી
નિધિ તિવારીને ૨૦૨૨ માં PMO માં નાયબ સચિવ બનાવવામાં આવ્યાં હતાં. એ પહેલાં તેઓ વિદેશ મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતો માટે ફરજ બજાવી ચૂક્યાં છે. અંગત સચિવના સ્વરૂપે નિધિ તિવારીની કામગીરી ઘણી વિશિષ્ટ રહેશે. તેમણે વડાપ્રધાનના કાર્યક્રમોનું સંકલન, વડાપ્રધાનની બેઠકોનું આયોજન તથા સરકારી વિભાગો સાથે સંકલન જેવી કામગીરી કરવાની રહેશે.
હકીકતે PMO માં અગાઉ પણ ઘણાં મહિલા અધિકારીઓ ટોચના હોદ્દા પર કામગીરી કરી ચૂક્યાં છે. એ અનુસંધાને નિધિ તિવારીની આ નિયુક્તિ મહિલા સશક્તિકરણની દિશાના એક પગલા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. ખાસ બાબત એ છે કે, નિધિ તિવારી વડાપ્રધાન મોદી (MODI) ના સંસદીય ક્ષેત્ર વારાસણીનાં છે. તેમને તેમની કામગીરીના આધારે જ આ બઢતી મળી છે.