Last Updated on by Sampurna Samachar
આંતકીઓએ હુમલો કરતાં પહેલાં કરેલી છે રેકી
આતંકવાદીઓએ મહત્તમ ભીડની તક જોઇ કર્યો હુમલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓના હત્યાકાંડ બાદ, ભારતીય સુરક્ષા દળો તેમની કાર્યવાહીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. વાત કરીએ તો આતંકવાદી હુમલાને એક અઠવાડિયું થઈ ગયું છે, અને હવે તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ પહલગામની બૈસરન ખીણમાં રેકી કરી હતી. આ આતંકવાદીઓ ૨૨ એપ્રિલે હુમલો કરતા પહેલા શસ્ત્રો સાથે હતા અને તકની રાહ જોઈ રહ્યા હતા.
ગુપ્તચર માહિતી અનુસાર, આતંકવાદીઓ બે દિવસ પહેલા પ્રવાસીઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમની યોજના મુલતવી રાખવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ને જણાવ્યું કે, ૨૨ એપ્રિલના રોજ બપોરે ૨:૩૦ વાગ્યાની આસપાસ, બે આતંકવાદીઓ એક ફૂડ સ્ટોલ પાછળ બેઠા હતા. તે અચાનક ઊભા થયા અને દુકાનોમાં નાસ્તો કરી રહેલા પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછવા લાગ્યો હતો. પછી થોડીવારમાં જ ચાર લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. જણાવી દઈએ કે, શરૂઆતમાં એવી શંકા હતી કે, આતંકવાદીઓ આસપાસના પહાડો પરથી નીચે આવ્યા હતા અને ગોળીબાર શરૂ કર્યો હતો.
આ હુમલામાં અંધાધુંધ ગોળીબાર નથી થયો
લગભગ ૩૦ મિનિટ સુધી ચાલેલા ગોળીબાર દરમિયાન, આતંકવાદીઓએ લોકોને ‘કલમા‘ પઢવાનું કહ્યું જેથી તેમના ધર્મની ઓળખ થઈ શકે. આ પછી તેણે ૨૬ લોકોની ર્નિદયતાથી હત્યા કરી હતી. મૃતકોમાં મોટાભાગના હિન્દુ પુરુષો હતા, જેમાં એક કાશ્મીરી ખચ્ચર ચલાવનાર અને એક નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે.
NIA અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અંધાધૂંધ ગોળીબાર નહોતો, પરંતુ હુમલાખોરોએ દરેક પીડિતના માથામાં ગોળી મારી હતી. હુમલા દરમિયાન, જ્યારે પહેલા બે આતંકવાદીઓએ ચાર લોકોના માથામાં ગોળી મારી, ત્યારે ભાગદોડ મચી ગઈ હતી. આ પછી, ઝિપ લાઇન નજીકથી વધુ બે આતંકવાદીઓ બહાર આવ્યા અને ભાગી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો.
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ પહલગામમાં હોટલોની રેકી કરી હતી. હવે NIA સ્થાનિક લોકોની પૂછપરછ કરી રહી છે અને હોટલોના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, ૨૦ અને ૨૧ એપ્રિલના રોજ વરસાદને કારણે ૨૨ એપ્રિલના રોજ બૈસરન ખીણમાં ૫,૦૦૦ થી વધુ પ્રવાસીઓ હાજર હતા. એજન્સી તપાસ કરી રહી છે કે, શું આતંકવાદીઓએ મહત્તમ ભીડની રાહ જોઈ હતી અને ‘યોગ્ય તક‘ મળતાં હુમલો કર્યો હતો. NIA અહીં એક ઝિપ-લાઇન ઓપરેટરની પણ પૂછપરછ કરી રહી છે. એક વીડિયોમાં, ગોળીબાર શરૂ થાય તે પહેલાં તેને ‘અલ્લાહ હુ અકબર‘ કહેતા સાંભળવામાં આવ્યો હતો. આ વીડિયો પ્રવાસી ઋષિ ભટ્ટ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતા.