Last Updated on by Sampurna Samachar
NIA ની તપાસમાં થયો મોટો ખૂલાસો
કંધાર હાઇજેકિંગ ઘટનામાં મુશ્તાક થયો હતો મુક્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મોટો સંકેત મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ જરગરનો માસ્ટર માઈન્ડ હોવાનો દાવો કર્યો છે. NIA ની તપાસમાં જાણવા મળ્યું છે કે તેના સમર્થકોએ પહલગામ હુમલાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW) ને મદદ કરી હતી.
મુશ્તાક અહેમદ જરગર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર છે અને ૨૦૧૯ના પુલવામા હુમલાનો આરોપી પણ છે. મુશ્તાક જરગરને કંધાર હાઇજેકિંગ ઘટનામાં મૌલાના મસૂદ અઝહર સાથે મુક્ત કરવામાં આવ્યો હતો.
જરગરના આતંકવાદી સંગઠન પર મુકાયો છે પ્રતિબંધ
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુશ્તાક જરગર હાલમાં પાકિસ્તાનમાં છે, પરંતુ શ્રીનગરનો હોવાથી, તેમનો ઓવરગ્રાઉન્ડ કાર્યકરો અને તેમના સમર્થકોમાં પ્રભાવ હોવાનું કહેવાય છે. એટલા માટે પહલગામ આતંકવાદી હુમલામાં જરગરની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. જરગરના આતંકવાદી સંગઠન પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ૨૦૨૩ માં NIA દ્વારા તેનું ઘર જપ્ત કરવામાં આવ્યું હતું.
૧૯૯૯ માં નેપાળથી ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન હાઇજેક કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ તેને કાઠમંડુથી અમૃતસર અને લાહોર અને પછી અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા હતા. આ પ્લેનમાં ૧૭૮ મુસાફરો સવાર હતા. આ મુસાફરોના બદલામાં આતંકવાદીઓએ મૌલાના મસૂદ અઝહર સહિત ૩ આતંકવાદીઓને છોડવાની શરત રાખી હતી.
આતંકવાદીઓએ એક અઠવાડિયા સુધી પ્લેન હાઇજેક કરીને રાખ્યું હતું. તત્કાલીન અટલ બિહારી વાજપેયી સરકારે મુસાફરોના જીવ બચાવવા માટે ત્રણેય આતંકવાદીઓને મુક્ત કરવાનો ર્નિણય લીધો હતો. આમાં મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક અહેમદ જરગર અને અહેમદ ઓમર સઈદ શેખનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓને ખાસ પ્લેન દ્વારા કંધાર લઈ જવામાં આવ્યા હતા. આ જ મસૂદ અઝહરે ૨૦૦૦ માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની રચના કરી હતી.