Last Updated on by Sampurna Samachar
હુમલામાં વિદેશી નિષ્ણાંતોની પણ મદદ લેવાઇ
હુમલા બાદ સુરક્ષા એજન્સી દ્વારા સ્થાનિક આતંકવાદીઓના ઘર તોડાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ હત્યાકાંડનું ષડયંત્ર અને તેમાં પાકિસ્તાનની ભૂમિકાનો સંપૂર્ણ પર્દાફાશ કરવા માટે સુરક્ષા અને તપાસ એજન્સીઓ શક્ય હોય ત્યાં સુધી હુમલામાં સામેલ આતંકવાદીઓને જીવતા પકડવા પર ભાર મૂકી રહી છે. આ દરમિયાન NIA ને અત્યાર સુધી મળેલા પુરાવાઓ અને હત્યાકાંડના પ્રત્યક્ષદર્શીઓ દ્વારા નોંધાયેલા નિવેદનો તેમજ શંકાસ્પદ અને ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની પૂછપરછમાંથી મળેલી જાણકારીનું મૂલ્યાંકન કરવાનું શરુ કરવામાં આવ્યું હતું. જે અતંર્ગત અત્યાર સુધી મળેલી માહિતીના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હત્યાકાંડ પહેલા અને પછી આતંકવાદીઓએ પાકિસ્તાન (PAKISTHAN) માં બેઠેલા તેમના હેન્ડલરોનો સંપર્ક કર્યો હતો.
આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સેટેલાઇટ ફોનની વિગતો એકત્રિત કરવા માટે વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, આ હુમલો લશ્કર-એ-તૈયબા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના ઇશારે કરવામાં આવ્યો હતો.
પાંચ આતંકવાદીઓની ઓળખ કરી
ઉલ્લેખનીય છે કે લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ, રેઝિસ્ટન્સ ફ્રન્ટે (TRF) હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ TRF એ પાછળથી તેનો ઇન્કાર કર્યો હતો. તપાસ એજન્સીઓએ હુમલામાં સંડોવાયેલા પાંચ આતંકવાદીઓની ઓળખ કરી છે.
આ હુમલામાં આતંકવાદી હાશિમ મૂસા સહિત ત્રણ પાકિસ્તાની અને આદિલ અને એહસાન શેખ નામના બે સ્થાનિક આતંકવાદીઓનો નામો સામે આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આદિલ અને એહસાનના ઘર તોડી પાડવામાં આવ્યા છે. આદિલ ૨૦૧૮ માં વિઝા પર પાકિસ્તાન ગયો હતો. એક માહિતી પ્રમાણે તે બે વર્ષ પહેલાં જ પાછો ફર્યો હતો.