Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું
કોંગ્રેસ પાર્ટીના કટ્ટર સમર્થક હતા સલીમ કુમાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મલયાલમ સિનેમાના દિગ્ગજ અને અત્યંત લોકપ્રિય અભિનેતા સલીમ કુમારના નિધનના સમાચાર છે. કોમેડીથી લઈને ગંભીર પાત્રો સુધી પોતાના અભિનયથી પ્રભાવિત કરનાર સલીમ કુમારનું ૫૬ વર્ષની નાની ઉંમરે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત દેશભરના સિનેમા જગતમાં ઘેરા શોકની લહેર છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત ચાલી રહી હતી. જ્યાં તબિયત વધુ બગડતાં તેમને કોચ્ચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. તેમના નિધન પર વડાપ્રધાન મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
પુત્ર ચંદુ સલીમ કુમાર અભિનેતા
સલીમ કુમાર મુખ્યત્વે તેમના અદભુત કોમેડી ટાઈમિંગ માટે જાણીતા હતા. તેમણે મલયાલમ સિનેમાની કેટલીક સૌથી મોટી કોમેડી બ્લોકબસ્ટર ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમના ફિલ્મી કોમેડી ડાયલોગ્સનો ઉપયોગ કેરળના લોકો આજે પણ પોતાની રોજિંદી વાતચીતમાં અવારનવાર કરે છે. તેમની હિટ ફિલ્મો જેવી કે C.I.D. Moosa અને Pulival Kalyanam હિન્દીમાં ડબ થઈને યુટ્યુબ અને ટીવીના માધ્યમથી ઉત્તર ભારતના દર્શકો સુધી પણ ખૂબ ફેમસ થઈ હતી.
ફિલ્મોમાં આવતા પહેલા સલીમ કુમારે નાટક અને મિમિક્રી આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૯૭ માં તેમણે ફિલ્મી સફર શરૂ કરી. તેમણે ફક્ત કોમેડી જ નહીં, પરંતુ ગંભીર પાત્રો પણ એટલી જ સહજતાથી ભજવ્યા હતા.
વર્ષ ૨૦૧૦ માં આવેલી વિવેચકો દ્વારા વખણાયેલી ફિલ્મ અદમિંતે મકાન અબુ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત, તેમને ચાર વખત પ્રતિષ્ઠિત કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા હતા. ફિલ્મ Achanurangatha Veedu માં તેમણે કોમેડી ઈમેજથી બહાર નીકળીને કરેલા દમદાર અભિનયની ભારે પ્રશંસા થઈ હતી. તેમના પુત્ર ચંદુ સલીમ કુમાર પણ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અભિનેતા તરીકે સક્રિય છે.
અભિનય ઉપરાંત સલીમ કુમાર રાજકીય રીતે પણ ખૂબ મુખર હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના કટ્ટર સમર્થક હતા. ખરાબ તબિયત હોવા છતાં, તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ ગઠબંધન માટે સક્રિયપણે પ્રચાર કર્યો હતો અને ઘણીવાર એલડીએફ સરકારની નીતિઓની ખુલ્લેઆમ આલોચના પણ કરી હતી.
તેમના જવાના કારણે મલયાલમ સિનેમાએ એક બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર ગુમાવ્યા છે. કેરળના મુખ્યમંત્રી વી.ડી.સતીશન પણ તેમના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.