Last Updated on by Sampurna Samachar
ભૂકંપ બાદ લોકોના જીવન પર ગંભીર અસર પડી
૧,૭૦૦ લોકો માર્યા તો ૩,૪૦૦ લોકો ઘાયલ થયાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મ્યાનમારમાં એક પછી એક ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧,૭૦૦ લોકો માર્યા ગયા છે અને ૩,૪૦૦ લોકો ઘાયલ થયા છે, ત્યારે યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (USGS)એ જણાવ્યું હતું કે, મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે પાસે ફરી એકવાર ૫.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દેશમાં વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ એક પછી એક આંચકા અનુભવાય છે.
મ્યાનમારની ધરા ૭૨ કલાકમાં ચોથી વખત તીવ્ર ભૂકંપથી હચમચી ઉઠી છે. જ્યાં મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભૂકંપને પગલે બચાવ કામગીરી યથાવત છે.
અત્યાર સુધી ૧૬ વખત મ્યાનમારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા
મ્યાનમાર (Myanmar) માં ૭.૭ અને પછી ૭.૨ ની તીવ્રતાના એક પછી એક ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મ્યાનમાર પહેલાથી જ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું હતું. તે જ સમયે, ભૂકંપ પછી પણ રાહત અને બચાવ કાર્ય યોગ્ય રીતે થઈ રહી નથી.
માળખાગત સુવિધાઓ અને રસ્તાઓને થયેલા નુકસાનને કારણે રાહત સામગ્રી સ્થળ પર પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ભૂકંપ પછીના આંચકાઓના ડરથી, હજારો લોકો પોતાના ઘર છોડીને રસ્તાઓ પર સૂઈ જવા મજબૂર છે. લોકોના ચહેરાઓ પર ડર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અત્યાર સુધી લગભગ ૧૬ વખત મ્યાનમારમાં ભૂકંપના ઝટકા અનુભવાઈ ચૂક્યા છે.