Last Updated on by Sampurna Samachar
પ્લાનમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઈ ગયો
ઘોઘા પોલીસે કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતા બે અલગ-અલગ હત્યાના બનાવો સામે આવ્યા છે. આ ઘટનાઓમાં સૌથી ચોંકાવનારો કિસ્સો “ખૂન કા બદલા ખૂન”ની ફિલ્મ જેવી સ્ક્રિપ્ટનો સામે આવ્યો છે, જ્યાં ભાઈની હત્યાનો બદલો લેવા માટે રચાયેલા પ્લાનમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઈ ગયો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આશરે એક વર્ષ પહેલા ભૂતેશ્વર ગામે પિયુષ કંટારીયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો બદલો લેવા માટે પિયુષના ભાઈ હસમુખ કંટારીયાએ કાવતરું ઘડ્યું હતું. તેનો અસલી ટાર્ગેટ જામીન પર બહાર આવેલો સુનિલ કંટારીયા હતો. જેલમાંથી સિવિલ હોસ્પિટલે આવેલા મિત્રની મુલાકાત લઈને પરત ફરી રહેલા હાર્દિક કંટારીયા અને તેના મિત્રો પર હુમલો કરવાનું નક્કી કરાયું હતું.
મામલો અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત હત્યા
હસમુખ કંટારીયાએ પ્લાન મુજબ અવાણીયા ગામ પાસે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ઇકો કાર ચલાવીને હાર્દિક અને તેના મિત્રોના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, ઇકો કારે એક્ટિવાને અંદાજે ૧૦૦ ફૂટ સુધી રોડ પર ઢસડ્યું હતું. આ અકસ્માતને પહેલા સામાન્ય રોડ અકસ્માત ગણવામાં આવી રહ્યો હતો.
આ ઘટના સમયે એક્ટિવા પર ટ્રિપલ સવારી જઈ રહી હતી. જેમાં સવાર શાંતિભાઈ નામના પ્રૌઢને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે હાર્દિક કંટારીયા અને રોનક નામના બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા છે. આમ, મુખ્ય ટાર્ગેટ બચી ગયો, પરંતુ નિર્દોષ શાંતિભાઈ આ બદલાની આગનો ભોગ બની ગયા.
અકસ્માતની તપાસ દરમિયાન આ ઘટના પાછળ હસમુખ કંટારીયાનું નામ ખુલતા ઘોઘા પોલીસ તુરંત હરકતમાં આવી ગઈ હતી. આ સમગ્ર મામલો અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત હત્યા હોવાનું સામે આવતા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આરોપી હસમુખને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.