Last Updated on by Sampurna Samachar
ટૂંક સમયમાં ભારત તરફથી એક્શન લેવાશે
આતંકી હુમલાનો સણસણતો જવાબ અપાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામમાં કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ ધરપકડ કરવાનું શરુ કરી દીધું છે. આખા જમ્મુ અને કાશ્મીરમાંથી ૧૫૦૦ થી વધારે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની પાસેથી પહલગામમાં પર્યટકો પર કરવામાં આવેલા હુમલાને લઈને પૂછપરછ થઈ રહી છે. આ બાજુ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠક ચાલી રહી છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. સિંહે કહ્યું કે, આતંકી હુમલાનો સણસણતો જવાબ આપવામાં આવશે અને ટૂંક સમયમાં ભારત તરફથી એક્શન લેવામાં આવશે.
સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરાઇ
રક્ષા મંત્રીએ કહ્યું કે, પહલગામમાં ધર્મને ટાર્ગેટ બનાવતા, આતંકીઓએ કાયરતાપૂર્ણ હુમલામાં આપણા દેશના અનેક નિર્દોષ લોકોને ખોયા છે. આ ઘોર અમાનવીય કૃત્યએ આપણને સૌને ઊંડા શોક અને દુખમાં ડૂબાડી દીધા છે. સૌથી પહેલા હું આ તમામ પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરુ છું, જેમણે પોતાના પ્રિયજનો ખોયા છે. આ દુખદ સમયમાં દિવંગત આત્માઓની શાંતિ માટે, હું ઈશ્વર પાસે પ્રાર્થના કરુ છું.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, “આતંકવાદ સામે આપણી પાસે જીરો ટોલરેંસ પોલિસી છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. ભારતને ડરાવી શકાય નહીં. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે, આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે.”
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સચિવ અને સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ સશસ્ત્ર દળોને આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.