Last Updated on by Sampurna Samachar
પત્ર લખી રાજ્ય સરકાર પુન:સ્થાપિત કરવા કરી માંગ
જનતામાં ફરીથી હિંસા ફાટી નીકળવાનો ભય
(સંપૂર્ણ સમાચાર સેવા)
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યાના ત્રણ મહિના બાદ ચૂંટાયેલી સરકારને પુન: સત્તા સોંપવાની માંગ ઉભી થઈ છે. મણિપુરના ૨૧ ધારાસભ્યોએ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખી રાજ્યમાં ચૂંટાયેલી સરકારને પુન:સ્થાપિત કરવા અપીલ કરી છે.
મણિપુરના ધારાસભ્યોએ સરકારને સત્તા સોંપવા મુદ્દે ઝડપથી ર્નિણય લેવા અપીલ કરી છે. તેઓએ કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું છે કે, જો મણિપુરમાં શાંતિ જોઈએ તો ૧૫ મે સુધી સરકારને પુન:સ્થાપિત કરવા ર્નિણય લો. જો ૧૫ મે સુધી કોઈ સકારાત્મક ર્નિણય લેવામાં નહીં આવે તો તેઓ પોતે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આ અરજી પત્રમાં ભાજપના ૧૪ ધારાસભ્યોના નામ પણ સામેલ છે.
નેશનલ પીપલ્સ પાર્ટીના ત્રણ, નાના પીપલ્સ ફ્રન્ટના બે અને બે અપક્ષ ધારાસભ્ય સામેલ છે. તે સિવાય આ ધારાસભ્યોને ૧૦ કુકી સમુદાયના ધારાસભ્યોનું પણ સમર્થન મળ્યું છે. ધારાસભ્યોએ પત્રમાં લખ્યું છે કે, ૧૩ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી, જનતાને આશા હતી કે પરિસ્થિતિમાં સુધારો થશે, પરંતુ ત્રણ મહિના પછી પણ કોઈ નક્કર પ્રગતિ થઈ નથી. જનતામાં ફરીથી હિંસા ફાટી નીકળવાનો ભય વધી રહ્યો છે અને ઘણા સામાજિક સંગઠનો રાષ્ટ્રપતિ શાસનનો વિરોધ કરી રહ્યા છે. ફરી સરકાર ન બનાવવા માટે ધારાસભ્યોને દોષિત ઠેરવવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યુ હતુ રાજીનામુ
ધારાસભ્યોએ વધતી જતી અશાંતિ મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘણા સંગઠનોએ રાષ્ટ્રપતિ શાસનનો વિરોધ શરૂ કર્યો છે અને સરકારની રચનાની માંગ કરી રહ્યા છે. જાહેર રેલીઓ અને શેરી સભાઓનું આયોજન થઈ રહ્યા છે, જ્યાં શાસક ધારાસભ્યો પર સરકાર બનાવવાનો દાવો ન કરવાનો અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. ૯ ફેબ્રુઆરીના રોજ, મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આંતરિક મતભેદોને કારણે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાદી વિધાનસભાને ‘સસ્પેન્ડેડ એનિમેશન‘માં મૂકી હતી.