Last Updated on by Sampurna Samachar
દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના કેસ
ઉત્તરાખંડ , ઉત્તરપ્રદેશ , કેરળ સહિત મહારાષ્ટ્રમાં વધતાં કેસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. વાત કરીએ તો મોટાભાગના ચેપગ્રસ્ત કેસ કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જોવા મળ્યા છે. અહેવાલો અનુસાર, કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ છે. જેને ધ્યાનમાં રાખીને અહીં રેન્ડમ પરીક્ષણ અને દેખરેખ શરૂ કરવામાં આવી છે. જ્યારે તમિલનાડુમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. દિલ્હી-નોઈડામાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક કોરોના (CORONA) ચેપગ્રસ્ત દર્દીનું પણ મોત નીપજ્યું છે.
તાજેતરમાં, ઉત્તર પ્રદેશના નોઈડામાં પણ કોરોનાનો એક કેસ નોંધાયો છે. અહીં એક ૫૫ વર્ષીય મહિલા કોવિડ પોઝિટિવ મળી આવી છે. મહિલાને ઘરે જ આઇસોલેશનમાં રાખવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે દર્દીના પરિવારના સભ્યો પર પણ પરીક્ષણો કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર આ મહિલાએ ૧૪ મેના રોજ ટ્રેનમાં મુસાફરી કરી હતી, જેના કારણે વધુ લોકોને ચેપ લાગવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ બે કોવિડ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.
કેરળમાં સૌથી વધારે કેસ નોંધાયા
મે મહિનામાં કેરળમાં સૌથી વધુ ૨૭૩ કોવિડ કેસ નોંધાયા છે. આ સાથે ત્રણ વર્ષ પછી દિલ્હીમાં પણ ૨૩ કોરોના કેસ નોંધાયા છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પણ ૮૪ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત થયું છે. અહેવાલો અનુસાર કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ ના ૩૮ નવા કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સંદર્ભમાં રાજ્યમાં કોવિડ-૧૯ થી એક દર્દીનું મૃત્યુ થયું. જ્યારે, ૮ નવા કેસ નોંધાયા છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, શહેરમાં હાલમાં ૧૮ કોવિડ-૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંથી મોટાભાગના લોકો ઘરે એકાંતમાં છે. એક દર્દીના મૃત્યુ અંગે ટીએમસી દ્વારા પ્રકાશિત કરાયેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે ૨૧ વર્ષીય વ્યક્તિ ડાયાબિટીસથી પીડાતો હતો અને અન્ય બીમારીઓને કારણે તેનું મૃત્યુ થયું છે.