Last Updated on by Sampurna Samachar
ભારતે પાકિસ્તાન સામે લીધાં ઉગ્ર પગલાં
આ પૂરાવો આતંકીઓને શોધવા રૂપે મોટી કડી સમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૨ મી એપ્રિલના રોજ પહલગામ બૈસરન ખાતે કટ્ટર આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાંઓ લીધા છે. ત્યારે આતંકી આ ઘટનાની તપાસ દેશની ઉચ્ચ સુરક્ષા એજન્સી NIA ને સોંપવામાં આવી છે. આ સંજોગોમાં હવે એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં શંકાસ્પદ બે આતંકવાદીઓ મોબાઈલ વીડિયોમાં કેદ થયા છે. જે સૌથી મોટા સમાચાર હોવાની સાથેસાથે આતંકીઓના સગડ મેળવવામાં મોટી કડી સમાન રહેશે.
ત્રાસવાદી હુમલા બાદ હુમલાખોર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આ શંકાસ્પદ આતંકવાદીઓ કેમેરામાં કેદ થયા હોવાની વિગતો સામે આવી છે. મહારાષ્ટ્રમાં એક પ્રવાસીના મોબાઇલ ફોનમાં આ શંકાસ્પદ આતંકવાદીઓ કેદ થયા છે.
પૂરાવો NIA ને સોંપવામાં આવ્યો
મળતી માહિતી મુજબ માવલના પ્રવાસી શ્રીજીત રમેશે આ સંદર્ભમાં NIA ને સંપૂર્ણ જાણકારી આપી છે. મહારાષ્ટ્રના આ પ્રવાસી પહલગામ ગયા હતા, જ્યાં તેઓ તેમની પુત્રીનો એક વીડિયો બનાવી રહ્યા હતા, ત્યારે શંકાસ્પદ આતંકવાદીઓ તેમાં કેદ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વીડિયો હાલમાં NIA ને સોંપવામાં આવ્યો છે અને NIA એ વીડિયોને આધારે તપાસ શરૂ કરી દીધી છે.
શંકાસ્પદ આતંકવાદીઓને મોબાઈલ વીડિયોમાં કેદ કરનારા મહારાષ્ટ્રના પ્રવાસી શ્રીજીતે કહ્યું કે, જ્યારે હું ત્યાં ગયો ત્યારે હું મારી છ વર્ષની દીકરી સાથે રીલ્સ બનાવવા માટે એક વીડિયો શૂટ કરી રહ્યો હતો. અમે આ વીડીયો શૂટ કર્યો, પછી અમે ત્યાંથી પરત ફર્યા, ગુલમર્ગ ગયા, અને પછી પુણે પાછા ફર્યા. પુણે પહોંચ્યા પછી મને આ હુમલાની ખબર પડી.
આ દરમિયાન આતંકવાદીઓના સ્કેચ બહાર પાડવામાં આવ્યા, અને અમને એવું લાગ્યું કે અમે સ્કેચમાં જે ચહેરા છે તેમને ક્યાંક જોયા છે. આથી મેં પહેલગામના મારા પ્રવાસ દરમિયાન મોબાઈલમાં ઉતારેલા બધા વીડિયો ચેક કર્યા. તેમાં, અમે જોયું કે આ બંને આતંકવાદીઓને મોબાઈલ કેમરાના વીડિયોમાં આવ્યા હતા. રમેશે કહ્યું કે અમે તેનું ચિત્ર જોયું હતું, તેથી અમને ખાતરી થઈ ગઈ કે આ એ જ સ્કેચવાળા ચહેરા ધરાવનારા છે.