Last Updated on by Sampurna Samachar
૫૦ રૂપિયાના વધારાથી ગૃહિણીઓના બજેટ પર અસર
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે LPG ગેસના ભાવોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જ્યાં LPG ગેસના ભાવ રૂ. ૫૦ સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ LPG ગેસ સિલિન્ડર પર નવા ભાવો લાગુ થઇ ગયા છે.
સામાન્ય ગ્રાહકો માટે LPG સિલિન્ડરના ભાવ હવે રૂ. ૮૦૩ થી વધી રૂ. ૮૫૩ થશે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ ૧૪.૨ કિગ્રાના LPG સિલિન્ડરનો ભાવ રૂ. ૫૦૦ થી વધી રૂ. ૫૫૦ થશે. નોંધ લેવી કે, રાજ્યવાર LPG ગેસના ભાવો અલગ અલગ છે. અમદાવાદમાં LPG ગેસનો ભાવ હાલ રૂ. ૮૦૦ પ્રતિ ૧૪.૨ કિગ્રા છે. જો નવો ભાવ વધારો જોઇએ તો હવે ગૃહણીઓને ગેસ સિલિન્ડર માટે રૂ. ૮૫૦ ચૂકવવા પડશે.
અગાઉ બે વર્ષ સુધી LPG ગેસના ભાવોમાં હતો ઘટાડો
પેટ્રોલિયમ અને નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, LPG ગેસના ભાવોની દર ૧૫ દિવસે સમીક્ષા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે. પેટ્રોલ-ડિઝલ પર પણ એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ રૂ. ૨ વધારવામાં આવી છે. જોકે, તેનો બોજો સામાન્ય પ્રજા પર નહીં નાખવાનો આદેશ OMC ને આપવામાં આવ્યો છે. એક્સાઈઝમાં વૃદ્ધિ પાછળનો ઉદ્દેશ ઓઈલ માર્કેટિંગ કંપનીઓે રૂ. ૪૩, ૦૦૦ કરોડનું વળતર આપવાનો છે. OMC ને ગેસ સેગમેન્ટમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે છે.
કેન્દ્ર સરકારે આ ભાવ વધારા પહેલાં અગાઉ બે વર્ષ સુધી LPG ગેસના ભાવોમાં ઘટાડો કર્યો હતો. ગત વર્ષે ૯ માર્ચ, ૨૦૨૪ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૦ નો ઘટાડો કર્યો હતો. તે પહેલાં ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ રૂ. ૨૦૦ સુધી ઘટાડ્યા હતા. ત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. ૧૧૦૩થી ઘટી ૯૦૩ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો હતો, જ્યારે ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં છેલ્લે ગયા વર્ષે ઓગસ્ટ ૨૦૨૪માં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી LPG રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.