Last Updated on by Sampurna Samachar
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુલતવી રખાઇ
પહેલગામ હુમલા બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હાલમાં નહીં થાય તેવી માહિતી સામે આવી રહી છે. આ ર્નિણય પાર્ટીના ટોચના નેતાઓ દ્વારા લેવાયો છે. અધ્યક્ષ પદ માટે નવી ચૂંટણી ક્યારે યોજાશે તેની જાહેરાત પછી કરવામાં આવશે. ભાજપ મે મહિનામાં પોતાના પ્રમુખની ચૂંટણી કરવાની યોજના બનાવી રહી હતી, પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવી છે.
સૂત્રો અનુસાર ભાજપે હાલમાં તેની અધ્યક્ષની ચૂંટણી મુલતવી રાખી છે. એટલે કે જગત પ્રકાશ નડ્ડા પ્રમુખ રહેશે. નડ્ડા ૨૦૨૦ થી અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ભાજપ સંગઠનાત્મક ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે. ભાજપ હાલમાં કેન્દ્રમાં સત્તામાં છે અને પાર્ટી આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
વર્ષ ૨૦૨૦ માં જે.પી.નડ્ડાએ સંભાળ્યુ હતુ પદ
પહેલગામ પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આતંકવાદીઓનો સફાયો થઈ જવો જોઈએ. આતંકવાદીઓને શોધી કાઢવામાં આવશે અને સજા આપવામાં આવશે. ૨૦૧૯ માં અમિત શાહ કેન્દ્રીય મંત્રી બન્યા પછી, જગત પ્રકાશ નડ્ડાને અધ્યક્ષ પદ આપવામાં આવ્યું હતું. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી નડ્ડા પદ છોડશે તેવી ચર્ચા હતી, પરંતુ કોઈ ચૂંટણી ન યોજાઈ હોવાથી, તેઓ હજુ પણ અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે.
ભાજપના રાજકીય ગલિયારામાં નડ્ડા પછી નવા પ્રમુખ કોણ હશે ? આ અંગે પણ ઘણી ચર્ચા થઈ રહી છે. છેલ્લા ૬ મહિનામાં, ભાજપ અધ્યક્ષ પદ માટે મીડિયામાં ઘણા નામોની ચર્ચા થઈ છે. જોકે, અંતિમ મહોર ફક્ત ચૂંટણી દરમિયાન જ લગાવવામાં આવશે.
ભાજપના બંધારણ મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણી રાજ્યોમાં ચૂંટણીઓ પછી યોજાય છે. પક્ષની રચના થઈ ત્યારથી, પ્રમુખ પદ માટેની ચૂંટણી સર્વસંમતિથી થઈ છે. ભાજપની સ્થાપના ૬ એપ્રિલ ૧૯૮૦ ના રોજ થઈ હતી.